Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રવિવારે અમદાવાદમાં એશિયા કપનું ભાવિ નકકી થશે

બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકાના બોર્ડના અધ્યક્ષ પણ આઇપીએલના ફાઇનલ મેચ નિહાળશેઃ મીટીંગમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે

નવી દિલ્હીઃ અમદાવાદ ધીરે ધીરે ક્રિકેટનું નવું હબ બનવા જઈ રહ્યું છે. આઈપીએલની કવોલિફાયર ૨ અને ફાઈનલ જેવી મહત્વની મેચ અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. ૨૮ મેના રોજ આઈપીએલની ૧૬મી સિઝનના વિજેતા વિશે જાણવા મળશે. આ સિવાય ૨૭ અને ૨૮ મેના રોજ અમદાવાદમાં અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટના પણ મહત્વના નિર્ણયો થશે. એટલે કે અમદાવાદમાં આવનારા સમયમાં ક્રિકેટ જગતના મોટા મોટા નિર્ણયો લેવાશે.મીડિયા રિપોર્ટ અનુસાર , બીસીસીઆઈ સચિવ જય શાહ એ જાણકારી આપી છે કે આ ફાઈનલ મેચ જોવા માટે બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ અમદાવાદ પહોંચશે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપના વેન્યૂને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં થનારી મિટિંગ મહત્વની સાબિત થશે.

બીસીસીઆઇએ અમદાવાદમાં ૨૭ મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ સ્પેશિયલ બેઠકમાં સ્ટેટ ટીમોમાં ફિઝિયો તથા કોચની વરણી અંગે ચોક્કસ નિર્દેશ તથા જાતીય સતામણી સામે આકરી રણનિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે હમણા સુધી વન-ડે વર્લ્ડ કપના શેડયૂલની જાહેરાત થઈ નથી. આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય વિમેન્સ પ્રીમિયર લીગ ટી-૨૦ માટે એક વિશેષ સમિતિની રચના પણ થઈ શકે છે.

(4:06 pm IST)