Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કાલે RTE એક્ટ હેઠળ ધો.1માં પ્રવેશ માટેની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાશે

શાળા ફાળવણીની જાણ વાલીઓને મેસેજથી કરાશે :આરટીઇ અંતર્ગત 73499 બેઠક સામે 1.49 લાખ અરજીઓ

અમદાવાદ :રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) એક્ટ હેઠળ ધો.1માં પ્રવેશ માટેની મંગળવારે પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાશે , RTEમાં 73499 બેઠક સામે પ્રવેશ મેળવવા માટે 1.49 લાખ અરજીઓ મંજૂર થઈ છે. તે પૈકી પ્રથમ તબક્કાની પ્રવેશ યાદીમાં વિદ્યાર્થીઓને સ્કૂલની ફાળવણી કરશે. તે અંગેની જાણ કરતા વાલીઓને મેસેજ મારફતે કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. પ્રથમ તબક્કાની પ્રવેશ યાદી જાહેર થયા બાદ વાલીઓને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની મુદત અપાશે.બાદ ખાલી પડેલી બેઠક માટે બીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

RTE અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTEની 73499 બેઠક માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 181162 અરજી આવી હતી. આ અરજીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 16745 અરજી અરજદારો દ્વારા જ રદ કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી વખતે ડોક્યુમેન્ટ તથા અન્ય મુદાને લઈને 25957 અરજી રદ કરવામાં આવી હતી. આમ, આ કાર્યવાહી બાદ 138460 અરજી મંજૂર થઈ હતી.

RTEમાં 25 હજાર કરતા વધુ અરજી રદ થતાં વાલીઓ તરફથી ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે મુદત આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આવી રજૂઆતોના પગલે વિભાગ દ્વારા 17 જુલાઈથી 19 જુલાઈ સુધી વાલીઓને અરજીમાં સુધારો કરવાની મુદત આપી હતી. આ ત્રણ દિવસના સમયગાળામાં અનેક વાલીઓએ અરજીમાં સુધારા કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિભાગ દ્વારા સુધારો કરાયેલી અરજીની પુનઃ ચકાસણી હાથ ધરી હતી.

 

જેમાં અગાઉ રિજેક્ટ થયેલી 25957 અરજી પૈકી 10640 અરજી મંજૂર થઈ હતી. આમ, RTEમાં છેલ્લી સ્થિતિ મુજબ 15317 અરજી રદ થઈ હતી. જ્યારે કુલ મંજૂર થયેલી અરજીની સંખ્યા 149100 છે. અરજી અંગેની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ હવે વિભાગ દ્વારા મંગળવારના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આમ, RTEની એક બેઠક માટે બે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થશે. બેઠકની સરખામણીમાં મંજૂર થયેલી અરજીની સંખ્યા બમણી છે. પ્રથમ પ્રવેશ યાદી જાહેર થયા બાદ વાલીઓને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની મુદત અપાશે. ત્યારબાદ ખાલી પડેલી બેઠક માટે બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી યોજવામાં આવી શકે છે.
(8:29 pm IST)