Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

સોમવારથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થશે

ચાર વિધેયકો, શોક પ્રસ્તાવ સહિત અહેવાલો વગેરે કામો રજૂ થશે: કોંગ્રેસ મુતકોના પરિવારજનોને વળતર, બેરોજગારી, મોંઘવારી સહિતના પ્રશ્ને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે

ગાંધીનગર: 14મી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્રનો આવતીકાલ તા.27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે આ પ્રથમ વિધાનસભા બેઠક યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી નવનિયુક્ત સરકાર સામે કોરોનામાં પ્રજાને પડેલી તકલીફ તેમ જ મુતકોના પરિવારજનોને વળતર, બેરોજગારી, મોંઘવારી સહિતના પ્રશ્ને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

બીજી તરફ કોંગ્રેસના આરોપોનો જવાબ આપવા માટે શું કરવું તે અંગે આજે ભાજપના મંત્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલના સત્રના પ્રારંભમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં અધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી કોઇ ઉમેદવાર રાખવામાં આવ્યા ન હોવાથી ભાજપના ઉમેદવાર નીમાબેન આચાર્ય નિશ્ચિત છે. જયારે ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસ અને ભાજપ દ્રારા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હોવાથી ચૂંટણી યોજાઇ શકે છે.

બીજીતરફ સોમવારના સત્ર દરમિયાન ચાર સરકારી વિધેયકો ગુજરાત ખાનગી યુનિવર્સીટી, ગુજરાત માલ અને સેવા વેરા ( સુધારા ) વિધેયક તથા 2021નું ભારતું ભાગીદારી ( ગુજરાત સુધારા ) વિધેયક તેમ જ સને 2021નું કૈશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરવામાં આવશે. ઉપરાંત પ્રશ્નોત્તરી તેમ જ 19 મુતકોને શોક પ્રસ્તાવ તેમ જ બોર્ડ-નિગમ, કોર્પોરેશનના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે.

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાઇ તે હેતુથી ગત માર્ચ મહિનામાં યોજાયેલા વિધાનસભા સત્ર દરમિયાન એક જ પાટલી પર એક જ વ્યક્તિને બેસાડવામાં આવ્યા હતા. જેના કારણે સીનીયર ધારાસભ્યોને ગુહની અંદર પાટલી પર બેસાડાયા હતા.

જયારે જુનિયર ધારાસભ્યોને વ્યુંઇંગ ગેલેરી એટલે કે પ્રેક્ષક ગણમાં બેસાડાયા હતા. જેમાં ધારાસભ્યો ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદિપભાઇ પરમાર, અર્જુનસીંહ ચૈહાણ અને અરવિંદ રૈયાણી, દેવા માલમ, રાઘવજી મકવાણા અને ગજેન્દ્રસીંહ પરમાર ઉપરાંત કુબેર ડિડોર અને વિનોદ મોરડિયા, બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. જો કે નવી સરકારમાં આ તમામ ધારાસભ્યો મંત્રીમંડળમાં હોવાથી હવે તેઓ ટ્રેઝરી બેન્ચમાં બેસશે. જયારે ભૂતપૂર્વ મંત્રીઓને ત્રીજી કે ચોથી હરોળમાં બેસવું પડશે.

(11:09 pm IST)