Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજિત ₹ ૨૩૭ કરોડના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ઈ- ખાતમુહૂર્ત :ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રૂપિયા ૧૧૦૦ કરોડથી વધુના વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ:પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબ કુટુંબના પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું

અમદાવાદ : શહેરની સુખાકારીમાં વધારો કરીને પ્રજાજનોને 'ઇઝ ઓફ લિવિંગ ' પૂરું પાડવામાં ગુજરાત મોખરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7 લાખ થી વધુ શહેરી આવાસોનું નિર્માણ કરી ગુજરાત સમગ્ર દેશમાં આવાસ નિર્માણમાં મોખરાનું સ્થાન ધરાવે છે.


અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજિત ₹ ૨૩૭ કરોડના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદના જોધપુર વોર્ડમાં ઝોનલ ઓફીસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું , તેમજ સરખેજ વોર્ડ ખાતે ૨૧૪૦ આવાસો અને શકરી તળાવ અને થલતેજ વોર્ડ ખાતે શીલજ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ પ્રસંગે પિંક ટોયલેટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટિંગ વેલ બનાવવા માટેના MOU સરખેજ વોર્ડના ઘુમા ખાતે આવેલી શિવમ સોસાયટી સાથે એકસચેન્જ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, આજ સવારથી રૂપિયા ૧૧૦૦ કરોડથી વધુના વિકાસના કામો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રામીણ અને શહેરમાં અનેક ભૂમિપૂજન અને લોકાર્પણ થકી સંપન્ન થયા છે.
આ પ્રસંગે ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેકવિધ વિકાસ કામો હાથ પર લીધા છે અને તેને ઝડપથી પૂર્ણ કરી રહી છે. આજે લોકાર્પણ થયેલ નવનિર્મિત ભવનનું બે- ત્રણ વર્ષ પહેલા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને આજે તેનું લોકાર્પણ કર્યું છે.
આ નવનિર્મિત દક્ષિણ પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસની વાત કરતા અમિતભાઈ શાહ એ કહ્યું કે, કોઈ મલ્ટી નેશનલ કંપનીનું બિલ્ડીંગ હોય તેવું અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઝોનલ ઓફિસ અનેક સુવિધાઓથી સજ્જ છે. આ ઝોનલ ઓફિસ તૈયાર થવાથી વેજલપુર વિધાનસભાના મત વિસ્તારના લોકોને હવે જોધપુર ક્ષેત્રની બહાર જવું નહીં પડે અને તમામ પ્રકારના સરકારલક્ષી કામો આ ઝોનલ ઓફિસમાંથી થશે એમ કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું.
તળાવના નવીનીકરણની વાત કરતા અમિતભાઈ શાહે કહ્યું કે, 5.43 કરોડના ખર્ચે શિલજનું તળાવ તેમજ 16 કરોડના ખર્ચે સરખેજ તળાવનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને તળાવની ફરતે ડેકોરેટિવ કમ્પાઉન્ડ વોલ, બાળકોને રમવા માટેનો એરીયા, વોક વે તેમજ ખાણીપીણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રના 30 તળાવો બારેમાસ પાણીથી ભરી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર અને  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે એમ  અમિતભાઈ શાહે વધુમાં ઉમેર્યું હતું.
પિંક ટોયલેટ પ્રોજેક્ટ ની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ મહિલાઓ માટે એક આશીર્વાદરૂપ બની રહેશે.
આજના આવાસના ભૂમિપૂજન ને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે,  આજે 2140 આવાસોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. આ આવાસો થકી આવનારા સમયમાં ગરીબ કુટુંબના પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થશે. તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટિંગ વેલ બનાવવા માટેની AMC ની યોજનાનો વધુ ને વધુ સોસાયટીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
 અમિતભાઈ શાહે કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. આજે ભારત દુનિયાની  અર્થવ્યવસ્થામાં ભારત પાંચમા નંબરે પહોચ્યું છે જે સૌ ભારત વાસીઓ માટે એક ગર્વની વાત છે.
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત ઉત્પાદનનું કેન્દ્ર બન્યું છે. ભારત દેશ આજે આયાત કરવાને બદલે નિકાસ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરતો થયો છે અને ભારતીય યુવાનોને વિશ્વનું મંચ પુરું પાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે,  આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આજે ભારત એક પછી એક બધી ગુલામીની નિશાનીઓ પાછળ છોડી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ, રામમંદિર શિલાન્યાસ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ બદ્રીનાથનો વિકાસ, કલમ 370 ને રદ કરીને કાશ્મીરને દેશનો ભાગ બનાવવું, રાજપથને કર્તવ્યપથ બનાવવાનો નિર્ણય - એમ દરેકે દરેક ક્ષેત્રે આદરણીય વડાપ્રધાનશ્રીના દુરંદેશીપણાં અને દ્રઢ નિશ્ચયશક્તિના પરિણામ સ્વરૂપે દેશ વિકાસના પથ પર અવિરત પણે આગળ વધી રહ્યો છે.
માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અથાગ પ્રયાસોના લીધે ગુજરાતના ગામેગામ નર્મદાના નીર પહોંચ્યા, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં કર્ફ્યુ કે કોમી રમખાણો જોવા મળ્યા નથી તેમજ ગુજરાતના ગામેગામમાં આજે થ્રી ફેઝ વીજળી 24 કલાક મળી રહી છે
 આજે 10 થી વધુ નેશનલ હાઈવે દ્વારા ગુજરાત સજ્જ બન્યું છે. ગુજરાતના વિકાસ મોડલની આજે દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા ચાલુ જ રહી છે. ગુજરાતની વિકાસ યાત્રા વધુ ગતિશીલ અને વધુ નિર્ણાયક બની છે એમ તેમણે ઉમેર્યું હતું. અમિતભાઈ શાહે નવરાત્રિના પર્વને લઈને સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે પ્રજાજનોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, અમદાવાદ માટે દરેક પખવાડિયુ વિકાસનો અનેરો ઉત્સવ લઈને આવે છે. ગયા મહિને અમદાવાદ શહેરમાં અંદાજિત 200 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત કરવામાં આવ્યું હતું. આજે પેહલા નોરતે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસનો નવો ઉત્સવ ઉજવીને 237 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત થઈ રહ્યું છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં AMC ની ઝોનલ ઓફીસનું લોકાર્પણ, તેમજ સરખેજ વોર્ડ ખાતે 2140 આવાસો અને શકરી તળાવ તથા થલતેજ વોર્ડ ખાતે શીલજ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ વિકાસ કાર્યો શહેરીજનોની સુવિધામાં વધારો કરશે. અમિતભાઇ શાહની એકપણ મુલાકાત એવી નહિ ગઈ હોય કે તેમણે ગુજરાત રાજ્ય, અમદાવાદ શહેર કે તેમના મતવિસ્તારમાં વિકાસના કામોની ભેટ ના આપી હોય. અમિતભાઈ શાહની વિકાસ સમર્પિત લોકનેતાની છબી જનમાનસમાં અંકિત થઈ ગઈ છે. પોતાના સંસદીય ક્ષેત્રમાં વિકાસ અને જનકલ્યાણ ના કાર્યોમાં સતત સમર્પિત રહેવાના કારણે જ આ શક્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  અમદાવાદમાં તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે અટલ ફૂટ બ્રીજની ભેટ અમદાવાદીઓને મળી છે. અટલ ફૂટ બ્રીજના વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લોકો આજે કહે છે કે આ યુરોપ નહિ પણ આપણું અમદાવાદ છે. શહેરની સુખાકારીમાં વધારો કરીને પ્રજાજનોને 'ઇઝ ઓફ લિવિંગ ' પૂરું પાડવામાં ગુજરાત મોખરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7 લાખ થી વધુ શહેરી આવાસોનું નિર્માણ કરી ગુજરાત સમગ્ર દેશમાં આવાસ નિર્માણમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અમદાવાદ શહેરના નાગરિકોને રિ-ક્રીએશન પ્રવૃતિઓ માટે સુંદર તળાવ મળી રહે તે માટે 81 તળાવ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે.  લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી 102 તળાવો રાજ્ય સરકારે AMC ને ફાળવ્યા છે. તળાવની ફરતે વોક વે, પ્લાંટેશન , ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલકૂદના સાધનો, તળાવની ફરતે પ્રોટેક્શન વૉલ,  ઇનલેટ- આઉટલેટ , પેવર બ્લોક, ફાઉન્ટન , બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરવાનું છે. જેના પરિણામે અમદાવાદ મહાનગરના પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોના  'ઇઝ ઓફ લિવિંગ 'માં પણ વધારો થશે.  આવા જ બે તળાવોના વિકાસ કાર્યનો આજે આપણે આરંભ કર્યો છે.
તેઓએ ઉમેર્યું હતુ કે,  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં  શહેરીકરણને આપણે અવસર તરીકે વધાવ્યું છે. શહેરોમાં વસતી રાજ્યની અડધોઅડધ વસ્તીને પોતાના રહેણાક વિસ્તારોની આસપાસ સારા બગીચા, સુવ્યવસ્થિત પાણી, ગટર વ્યવસ્થા સહિતની તમામ જરૂરી સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઇના અથાગ પરિશ્રમ થી આજે સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સથી પરીપાઠ્ય ગુજરાતના શહેરો દેશના મોડલ બન્યા છે. આદરણીય વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે અમૃતકાળ માટે વડાપ્રધાનએ આપણને પાંચ સંકલ્પ આપ્યા છે જેમાંનો પહેલો સંકલ્પ છે વિકસિત ભારતનું નિર્માણ. સ્વચ્છ, સુંદર, સ્માર્ટ અને સુવિધાયુક્ત શહેરો વિના વિકસિત ભારતની કલ્પના શક્ય નથી. વિકસિત રાષ્ટ્ર માટે આપણે આપણા શહેરોને વધુ લવેબલ અને લીવેબલ બનાવવા માટે કટિબદ્ધ થવું જ રહ્યું.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  પ્રદીપભાઈ પરમાર, સહકાર અને માર્ગ-મકાન રાજ્યમંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા,અમદાવાદના મેયર  કિરીટભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશનર  લોચન સેહરા  અને ડે.મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સાંસદઓ, ધારાસભ્યઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, કાઉન્સિલરઓ, પદાધિકારીઓ, શહેર ભાજપ અગ્રણીઓ તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:03 pm IST)