Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ઇકોલોજી- ઇકોનોમી અને ટેકનોલોજી- હ્યુમેનોલોજી સાથે સાથે રાખવી ખૂબ જરૂરી :કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલજી

ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં સ્થિત સ્ટેટ મોડલ ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદા સાયન્સિસ કેમ્પની મુલાકાત લેતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલજી

ગાંધીનગર : ઇકોલોજી- ઇકોનોમી અને ટેકનોલોજી- હ્યુમેનોલોજી સાથે સાથે રાખવી ખૂબ જરૂરી છે. પ્રકૃ્તિનું જતન કરવું જોઇએ. તેમજ પ્રકૃતિના નિયમને ન તોડવો જોઇએ,તેવું  ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં સ્થિત સ્ટેટ મોડલ ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદા સાયન્સિસ કેમ્પસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલજીએ જણાવ્યું હતું.
  કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલજીએ વિધાર્થીઓ અને આયુર્વેદ કોલેજના ફેકલ્ટીઝ સાથે આયુર્વેદ વિષય પર સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં એક મજબૂત રાજય છે. તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં ગુજરાત અગ્રેસર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજયના મુખ્ય મંત્રી હતા, તે સમયે વિકાસ પંથ કંડારયો હતો.આજે જેની ફલશ્રૃતિ રૂપે ગુજરાત દેશમાં જ નહિ, વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
આ આયુર્વેદ કોલેજનું નામ દેશમાં જ નહિ, વિશ્વમાં રોશન કરવાનું વિઘાર્થીઓને આહૂવાન કરીને કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, વ્યક્તિઓની પ્રકૃતિને ઓળખીને તેનું નિદાન કરવું ખૂબ જરૂરી છે. આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે, પણ આજના ટેકનોલોજી- વિજ્ઞાન યુગમાં લોકોમાં આયુર્વેદની જાગૃત્તિ લાવવી ખૂબ જરૂરી છે. તેમણે આગામી સમયમાં રાજય સરકાર સાથે ચર્ચા કરી આ હોસ્પિટલ અને કોલેજના વિકાસમાં જરૂરી સહયોગ આપવાની પણ ખાત્રી આપી હતી.
સર્વે ઉપસ્થિત વિધાર્થીઓને પોતાના સમયનો સદ ઉપયોગ કરવા જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, સમાજને તંદુરસ્ત રાખવાની જવાબદારી આપના શીરે છે. પ્રકૃતિ વચ્ચે જીવન જીવવાથી શું શું ફાયદા થાય છે, તે અંગેની લોકજાગૃત્તિ લાવવી પણ તેટલી જરૂરી છે. તેમણે ગ્લોબલ વાર્મિંગની વિસ્તૃત વાત કરી હતી.
કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલજીએ આયુર્વેદ હોસ્પિટલના વિવિધ ચિકિત્સા વિભાગની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ આયુર્વેદ હોસપિટલની મુલાકાત દરમ્યાન તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
આ મુલાકાત દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આયુષના નિયામક જયેશભાઇ પરમાર, કોલેજના આચાર્ય  ર્ડા. સ્વીટી રૂપારેલ, હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિડેન્ટ ર્ડા. આર.એન.ભટ્ટ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.                       

 

(6:50 pm IST)