Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આપના પૂર્વ નેતા અને જાણીતા હીરા ઉદ્યોગકાર મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરી સુરતના કતારગામમાં ચૂંટણી પ્રચારે નીકળતા અનેક તર્ક વિતર્ક

વરાછા બેઠક ઉપર ત્રણેય ઉમેદવાર પાટીદાર હોવાથી પ્રજા સંકલ્‍પ કરશેઃ મહેશભાઇ સવાણી

સુરતઃ આમ આદમી પાર્ટી છોડયા બાદ સુરતના જાણીતા હીરાના વેપારી મહેશભાઇ સવાણીએ કતારગામમાં ભાજપનો પ્રચાર કરતા રાજકારણ ગરમાયુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અનેક ઉલટફેર જોવા મળી રહી છે. ત્યારે પૂર્વ આપના નેતા મહેશ સવાણી સ્ટેજ પર દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પૂર્વ આપના નેતા અને જાણીતા હિરા ઉદ્યોગકાર  મહેશ સવાણી ફરી રાજકારણને લઈને ચર્ચામાં આવ્યા છે. મહેશ સવાણી ભાજપનો ખેસ પરીને સ્ટેજ પર જોવા મળતા અનેક તર્ક વિતર્કના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે.

સુરતમાં પૂર્વ આપના નેતા મહેશ સવાણી સ્ટેજ પર ભાજપનો ખેસ પહેરીને જોવા મળ્યા હતા. જ્યાં મહેશ સવાણીને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, AAP પાર્ટી છોડ્યા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથ આપવો જોઈએ એટલે હું અહીં આવ્યો છું. અમે પહેલા જ્યાં મહેનત કરવાની હતી ત્યાં કરી હતી, એટલે તે ઉમેદવારનું સમર્થન કરી રહ્યો છું. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વરાછાની બેઠક પર ત્રણેય પાટીદાર ઉમેદવાર છે, પણ પ્રજાનો સંકલ્પ ફાઇનલ જોઈએ છે. રસાકસી થશે કારણ કે ત્રણે પાટીદારો છે તો કહેવું મુશ્કેલ છે કે કોણ જીતશે અને કોણ હારશે. ભાજપની વરાછા બેઠક જીતાડવા સહિત 14 સીટો માટે મહેનત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, મહેશ સવાણી કતારગામમાં ભાજપના ઉમેદવાર વિનુ ભાઈનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વરાછા બેઠક અંગે નિવેદન આપતા મહેશ સવાણીએ કહ્યું કે, ત્રણેય પાટીદારો છે પણ પ્રજાનો સંકલ્પ ફાઇનલ હોય છે. 

(5:26 pm IST)