Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સુરતના બમરોલીમાં વકીલનો પ્લોટ પચાવી પાડવા કારસ્તાન રચનાર મહિલા સહીત બે ની ધરપકડ

સુરત: બમરોલીની જય અંબે સોસાયટીનો પ્લોટ જુની તારીખના સ્ટેમ્પ પેપરની મદદથી બોગસ કબ્જા રસીદ અને વેચાણ કરાર બનાવી પચાવી પાડવાનો કારસો રચનાર એક મહિલા સહિત બેની પાંડેસરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના રૂસ્તમપુરાના મલ્ટીસ્ટોરીયેડ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા વકીલ જયવદન ભગવાનદાસ જરીવાલાએ વર્ષ 2000માં બમરોલીની જય અંબે સોસાયટીનો પ્લોટ નં. 338 વકીલાતનો વ્યવસાય કરતી બે પુત્રી ચૈતાલી તેજસ દોરીવાલા અને જસ્મીન જયવદન જરીવાલાના નામે વેચાણ દસ્તાવેજથી ખરીદયો હતો. ત્રણેક વર્ષ અગાઉ પ્લોટ પર બાંધકામ ચાલી રહ્યું હતું. જેથી જયવદન જરીવાલાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જુની તારીખના સ્ટેમ્પરની મદદથી ભરત કાનજી પટેલના નામના બોગસ કબ્જા રસીદ બનાવી હતી. જેમાં પ્લોટ વેચાણ આપનાર તરીકે ડાહીબેન સોમાભાઇ, ચીમન બાબુભાઇ અને અરૂણભાઇનું નામ હતું પરંતુ સહી ન હતી. જયારે માત્ર નટવરલાલ છગનલાલની સહી હતી અને તેમાં સાક્ષી તરીકે હિંમતસિંહ ગણપતસિંહ વશીની સહી હતી. બનાવટી કબ્જા રસીદના આધારે ભરત પટેલે સાક્ષી તરીકે હરિહર પાઠક અને કાંતીભાઇની સહીના આધારે અવધમણી દુધનાથ તિવારીને વેચાણ કરાર કરી આપ્યો હતો. આ પ્રકરણમાં પાંડેસરા પોલીસે આઝાદસીંગ ઓમપ્રકાશસીંગ રાજપૂત (રહે. જય અંબે સોસાયટી, બમરોલી રોડ) અને કુસુમ રમેશ રાજપૂત રહે. ગોપાલ નગર સોસાયટી, વડોદ) ની ધરપકડ કરી છે.

(5:20 pm IST)