Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

26 જાન્યુઆરીએ 74મા ગણતંત્ર દિવસની ઉજવણીનો થનગનાટઃ ગુજરાતભરના મંદિરો દેશભક્તિના રંગે રંગાયા

દેવાધિ દેવ મહાદેવને તિરંગાનો કરાયો શણગારઃ કષ્ટભંજન દેવને અનોખો શણગારઃ તિરંગાના રંગે રંગાયું ચામુંડા માતાજીનું મંદિરઃ મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરાયોઃ હરિકૃષ્ણ મહારાજને પહેરાવવામાં આવ્યા વિશિષ્ટ વાઘા

અમદાવાદઃ આજે સમગ્ર દેશમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. જેના થકી મંદિરોમાં ભક્તિમય સાથે-સાથે દેશભક્તિમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશભક્તિનાં રંગમાં રંગાયા છે. દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અનોખા અંદાજમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ છે. દેવાધિ દેવ મહાદેવને ત્રિરંગો શણગાર કરાયો છે. મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડયા છે.  મંદિર પરિસર અને શિવ ભક્તો પણ જાણે કે ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિમાં તલ્લીન બન્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સાથે જ 74માં પ્રજાસત્તાક પર્વના દિવસે બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. દાદાને તિંરગા વાઘાનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસનની આસપાસ તિરંગો પણ મૂકવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પણ તિરંગાના રંગે રંગાયું છે. માતાજીના સિંહાસની પાછળ તિરંગો લગાવવામાં આવ્યો છે. માતાજીના આ સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

શક્તિપીઠ પાવાગઢ મંદિર દેશભક્તિના રંગે રંગાયું છે, મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરાયો છે. નિજ મંદિર પરિસરમાં પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

ભારત આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આજે પ્રજાસત્તાક દિન નિમિતે વડતાલ સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. હરિકૃષ્ણ મહારાજને તિંરગા વાઘાનો અદભુત શણગાર કરાયો છે. સાથે મંદિરના પરિસરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં સવારે ધ્વજવંદનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

(1:55 pm IST)