Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ગોધરા કાંડને 19 વર્ષ પૂર્ણઃ ગોધરામાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા બાઇક રેલીઃ ટ્રેનના ડબ્‍બા પાસે 59 કારસેવકોને શ્રદ્ધાંજલી અર્પણ

ગોધરા: આજે 27 ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ 2002 માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોઝારી ઘટનાને 19 વર્ષ પૂર્ણ થયા છે. ઘટનામાં મોતને ભેટેલા 59 કાર સેવકોને આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 19 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે કેટલાક કારસેવકો પરત ફરી રહ્યા હતા. ગોધરામાં એ કેબિન પાસે ઉભેલી ટ્રેનના એસ-6 કોચમાં 59 કાર સેવકો સવાર હતા. ત્યારે આ કોચને આગ લગાવી તમામ કારસેવતોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં તમામ 59 જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SIT ની રચના પણ કરવામાં આવી છે, જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. ત્યારે આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની 19 મી વરસીને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કારસેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજવામાં આવી હતી. આ રેલી ગોધરા રેલવે યાર્ડમાં રાખવામાં આવેલ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચ ખાતે પહોંચી હતી. જ્યાં કોચ પાસે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને રામધૂન બોલાવી હતી. સાથે જ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

 ટ્રેન હત્યાકાંડની વરસીને લઇને ગોધરામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સાબરમતી ટ્રેનનો એસ-6 કોચ ખાતે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ત્યારે આ વિશે વિહીપના અગ્રણી નાગરાજ ભાટીયાએ જણાવ્યું કે, વીએચપી દ્વારા દર વર્ષે આ પ્રકારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવે છે. વહેલી તકે અયોધ્યામાં રામમંદિર બનાવવામાં આવશે તો જ કારસેવકો સાચી શ્રદ્ધાંજલિ ગણાશે તેવો આશાવાદ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ ગોઝારી ઘટનાને 19 વર્ષ વીત્યા બાદ હવે રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે.

(4:32 pm IST)