Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છના ધોળાવીરાને યૂનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરાયું

આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું

ગુજરાતના કચ્છમાં આવેલા ધોળાવીરાને યૂનેસ્કોએ વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યુ છે. યૂનેસ્કો દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. તેલંગાણાના રામપ્પા મંદિરને પણ વર્લ્ડ હેરિટેડની યાદીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ પહેલા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યુ હતું.

 

 

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

(5:39 pm IST)