Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વિશ્‍વના રોકાણોકારોમાં રોકાણ અને નિકાસમાં ગુજરાત રાજય ટોપ પર

કેન્‍દ્રીય નીતિ આયોગે (નિકાસ તૈયારી) સુચક આંકમાં ગુજરાતને નંબર-૧ ક્રમ આપેલ હોવાનું જણાવતા ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયા

અમદાવાદઃ ગુજરાત ભારત સહિત સમગ્ર વિશ્વભરના રોકાણકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ફોર ઓપોર્ચ્યુનિટી  બની રહ્યુ છે, એમ ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.  આજે ભારત સરકારના નીતિ આયોગે (નિકાસ તૈયારી સૂચકઆંક)માં ગુજરાતને નંબર 1 જાહેર કર્યું છે. એક્સપોર્ટ એ આત્મનિર્ભર ભારતનું અભિન્ન અંગ અને મહત્વનો ભાગ છે.

વિશ્વના વ્યાપારમાં ભારતની નિકાસ બે ગણી થાય તેવા પ્રયાસો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યાં છે. એક્સ્પોર્ટ પ્રોત્સાહનથી ઉત્પાદન સાથે સંકળાયેલ પોલિસી અને યોજનાઓનું મહત્વનું યોગદાન રહેતું હોય છે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરામાં નિકાસના પ્રોત્સાહન માટેની અનૂકુળ નીતિઓ સાથે મહત્વ આપ્યું છે. એટલે આજે કેન્દ્ર સરકારના નીતિ આયોગે ગુજરાતને નિકાસ તૈયારી સૂચકઆંક માં નંબર 1 જાહેર કર્યુ તે ગુજરાતના ઉત્પાદનકારો અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ગુજરાતની સર્વાંગી વિકાસ યાત્રામાં ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ 2020 નવું બળ પૂરુ પાડશે.

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની પ્રવૃતિને ડામવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજરોજ રાજ્યની કેબિનેટ દ્વારા ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) એકટ-૨૦૨૦’ને મંજૂરી આપવાના નિર્ણયને આવકારતા અને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતો સહિત તમામ કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ થશે, કડક સજાની જોગવાઈથી ભૂમાફિયાઓ અંકુશમાં આવશે.

પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપા સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ અટકાવવા સંકલ્પબદ્ધ છે. તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, આ એકટ હેઠળ ગેરકાયદે જમીન હડપનારા તત્વો સામે વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવશે, કેસ દાખલ થયાના છ મહિનામાં ઝડપી અને પારદર્શી સુનાવણીથી ગુનેગારોને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની જેલની કડક સજાની તેમજ જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં આ એકટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈથી આ પ્રકારની પ્રવૃતિઓ અટકશે.

(10:15 pm IST)