Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

એટ્રોસીટીના કેસમાં જામીન આપતી વખતે કોર્ટે ફરીયાદી કે પીડિતને સાંભળવાની જરૂર નથી

અમદાવાદ, તા.૨૭: એટ્રોસિટીના કેસમાં જામીન અંગે એક મહત્વનો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે આવા કેસમાં જામીન આપતી વખતે કોર્ટે ફરિયાદી કે પીડિતને સાંભળવાની જરુર નથી. સેકશન ૧૫હ્ય્ હેઠળ એટ્રોસિટીના કેસમાં આરોપીને જામીન કે ફર્લો આપતા પહેલા ફરિયાદીને કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મૂકવાનો હક્ક મળેલો છે. જેને પડકારતી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. હેમલ જૈન નામના અરજકર્તા દ્વારા આ પિટિશન કરાઈ હતી. અરજકર્તા પર તેમના એક કર્મચારીએ જાતિગત શબ્દો કહેવા બદલ એટ્રોસિટીનો કેસ કર્યો હતો. જૈને ધરપકડ બાદ જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટને ફરિયાદીનો પક્ષ પણ સાંભળવાનો હોવાથી આરોપીને કેટલોક સમય જેલમાં વિતાવવો પડ્યો હતો.

જૈનના વકીલ વિરલ પોપટે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ ગુનો જામીનપાત્ર છે, અને કાયદાની ગેરવાજબી જોગવાઈને કારણે તેમના અસીલને જેલમાં રહેવું પડ્યું હતું. કોર્ટે જૈનની પિટિશન પર સુનાવણી કરતા કહ્યું હતું કે જયારે આરોપી સામે જામીનપાત્ર ગુનો નોંધાયો હોય ત્યારે તેને જામીન આપતા પહેલા સેકશન ૧૫એ (૫) હેઠળ પીડિત કે ફરિયાદીને સાંભળવાની જરુર નથી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરતા એમ પણ જણાવ્યું હતું કે આરોપીની જામીન અરજી પર ફરિયાદી કે પીડિતને સાંભળવા કે નહીં તે અંગેનો કોઈપણ નિર્ણય લેતા પહેલા કોર્ટે એટલી ચોકસાઈ અવશ્ય કરવી કે આરોપી સામે કરાયેલા આરોપ ખરેખર જામીપાત્ર છે.

અરજકર્તાના વકીલના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના ચુકાદાથી એટ્રોસિટીના કેસમાં જામીન આપતા પહેલા ફરિયાદીનો પક્ષ સાંભળવાનું કોર્ટ માટે ફરજિયાત નથી રહેતું. જાતિ વિષયક અપશબ્દ કહેવા કે સામાન્ય હુમલાના કેસમાં જયાં કલમ ૩૨૩ હેઠળ કેસ નોંધાયો હોય તેમાં કોર્ટ હવે ફરિયાદીને સાંભળ્યા વિના આરોપીને જામીન આપી શકે છે. જો કે આ બંધારણીય જોગવાઈને દૂર કરવાની માગણીને કોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કલમ ૧૫એ (૩) આર્ટિકલ ૧૪ અને ૨૧નો ભંગ નથી કરતી.

(3:59 pm IST)