Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાતના 139 ડેમ છલોછલઃ સરદાર સરોવર ડેમ 74 ટકા ભરાઇ ગયોઃ હજુ પણ ધોધમાર આવક ચાલુઃ આ વર્ષે ખેડૂતોને સિંચાઇમાં નિરાંત રહેશે

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવ્યા છે. એક તરફ બે દિવસ વરસાદ વિરામ પર છે અને ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ  74.05 ટકા ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમની સપાટી 129.94 મીટરે પહોંચી છે. હાલ નર્મદા ડેમમાં 88 હજાર 287 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ખેડૂતો માટે ખુશખબર એ છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 ડેમ 100 ટકા છલોછલ ભરાઈ ગયા છે. 73 ડેમ 70થી 100 ટકા ભરાયા છે. 16 ડેમ એવા છે જે 50 ટકાથી 70 ટકા ભરાયા છે. 14 ડેમ એવા છે જે હજુ 25 થી 50 ટકા જ ભરાયા છે અને 11 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી સંગ્રહિત થઈ શક્યું છે. તો કુલ મળીને અત્યારે 139 ડેમોની જળસપાટી તેની ટોચને સ્પર્શી શકે તેમ હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. 15 ડેમને એલર્ટ પર મુકાયા છે અને 10 ડેમ વોર્નિંગ સ્ટેજ પર મૂકાયા છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 111 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટયુ છે ત્યારે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના ૪ તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 47 મી.મી. એટલે કે 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે ખંભાળિયામાં 35 મીમી, ખેરાલુ 30 મીમી, ગાંધીધામમાં 24 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે રાણાવાવ-સાણંદમાં 19 મી.મી., માંડવી(કચ્છ)-બોરસદમાં 18 મી.મી., સિધ્ધપુર-જોટાણામાં 16 મી.મી., પોરબંદરમાં 15 મી.મી., ભચાઉ, દ્વારકા, અમદાવાદ શહેર અને તારાપુરમાં 14 મી.મી., ગાંધીનગરમાં 13 મી.મી., તલોદ-ભાણવડમાં 12 મી.મી. એટલે અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે, રાજ્યના 82 તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 107.97 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 221.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 142.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 95.60 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 92.77 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 80.79 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૪૭,૩૭૮ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના 74.05 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના 93 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત 72 જળાશયો એવા છે, કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. 16 જળાશયો એવા છે કે જેમાં 50 થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 25 થી 50 ટકા વચ્ચે 14 જળાશયો જયારે 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા 10 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

(5:30 pm IST)