Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સાબરમતીને પ્રદૂષિત કરનાર ૮૪ ફેક્ટરી સામે કાર્યવાહી

એએમસીએ ગટર કનેક્શન કાપ્યા : હાઇકોર્ટના આદેશ બાદ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે ગટરની લાઇનમાં કેમિક્લ છોડતા એકમ સામે લાલ આંખ કરી

અમદાવાદ,તા.૨૭ : અમદાવાદ શહેરના મધ્યથી પસાર થતી સાબરમતી નદીનાં પ્રદુષણ અંગે હાલમાં હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી ચાલી રહેલ છે. હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે ગટરની લાઇનમાં કેમિક્લ છોડતા એકમ સામે લાલ આંખ કરી શહેરના ૮૪ થી વધુ એકમના ગટર કનેક્શન કાપી નાંખ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકીએ અખબારી યાદીમાં જણાવવાનું કે અમદાવાદ શહેરમાં કુલ ૧૪ એસટીપી કાર્યરત છે જેમાં નદીની પુર્વ બાજુએ આવેલા એસટીપીમાં આવતાં ઇનકમીંગ સુએજના પેરામીટર્સ ડિઝાઇન લીમીટ કરતાં ઘણા વધારે જોવા મળે છે. જેનું મુખ્ય કારણ સુએજ લાઇનોમાં આવતું ઇન્ડસ્ટ્રીટલ એફલુઅન્ટ છે.

અમદાવાદ શહેરમાં મુખ્ય ૪ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નરોડા, વટવા, ઓઢવ અને નારોલ આવેલ છે પરંતુ આ ઉપરાંત શહેરના ઉત્તર, પુર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાનાં-નાનાં ધણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલાં છે. મોટાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એફલુઅન્ટ માટે CETP બનાવેલ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરગથ્થુ ગંદા પાણીના શુધ્ધિકરણ માટે બનાવેલ છે પરંતુ અમ્યુકોની સેવેજ લાઇનોમાં ઇન્ડસ્ટ્રીયલ કનેકશનો મારફતે ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ઠલવાતાં હોવાથી એસટીપીના ડોમેસ્ટીક સીવેજના ડિઝાઇન ઇનલેટ પેરામીટર જળવાતાં નથી. જેના કારણે પ્લાન્ટની માઇક્રોબીયલ પ્રોસેસમાં બેકટેરીયલ ડેવલોપમેન્ટમાં હાનિ પહોંચતી હોવાથી આઉટલેટ પેરામીટર GPCBનાં નોર્મ્સ અનુસાર જળવાતાં નથી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટના કારણે એસટીપીની મશીનરીને પણ નુકસાન થતું રહે છે. ઉપરોકત બાબતે નામદાર હાઇકોર્ટમાં કરેલ રજુઆતના સંદર્ભે નામદાર હાઇકોર્ટ દ્વારા તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ કરેલ ઓર્ડર અનુસાર અમ્યુકો દ્વારા પોતાની યુટીલીટીના મેન્ટેનન્સ માટે તાકીદે ડ્રેનેજ લાઇનોમાં કરેલ ગેરકાયદેસર જોડાણો કાપવાની કામગીરી કરવાની થાય છે.

જેના અનુસંધાને અમ્યુકોર્પો દ્વારા વિવધિ ઝોનમાં ૮૪ થી વધુ એકમોના ગટર કનેક્શન કાપી નાખવામા આવ્યા છે. નોંધનીય છે કે એએમસી કાર્યવાહી બાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ શહેરના બે ફેક્ટરી માલિકો દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમા અરજી પણ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે અરજદારને ખખડાવતા કહ્યું હતુ કે તમને માત્ર તમારા બિઝનેશની પડી છે. પણ તમારા સ્વાર્થને લીધી નદીની શું સ્થિતિ થઇ છે ? કોઇ પ્રકારે કોર્ટ પાસે સહાનુભૂતિની અપેક્ષા ન રાખશે. ઉદ્યોગોને બચાવવા રાજકારણીનો પણ દખલગીરી કરી રહ્યા છે. અમને રાજકારણીના નામ મળશે તો તેમની સામે પણ પગલા લઇશું.

(7:42 pm IST)