Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાના રૂટમાં આવતા વિસ્‍તારો ‘નો પાર્કિંગ ઝોન' જાહેર

જાહેરનામામાં વાહનોની અવરજવર તથા પાર્કિંગ માટે વૈકલ્‍પિક રૂટ આપવામાં આવ્‍યો

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળનાર હોય તે સંદર્ભે ટ્રાફિક સમસ્‍યા ન સર્જાય તે માટે રથયાત્રાના રૂટમાં આવતા વિસ્‍તારોમાં ‘નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયા છે. વાહનોની અવરજવર અને પાર્કિંગની વ્‍યવસ્‍થા માટે વૈકલ્‍પિક રૂટ આપવામાં આવ્‍યા છે.

પહેલીવાર રથયાત્રામાં અમદાવાદ પોલીસ કંઈક નવુ કરવા જઈ રહી છે. જમીની બંદોબસ્ત તો રહેશે, પણ સાથે આકાશથી પણ નજર રાખવામાં આવશે. અત્યાર સુધી આકાશી બંદોબસ્ત માટે ડ્રોનનો ઉપયોગ કરાતો હતો. ત્યારે પહેલીવાર પેરામોટર દ્વારા રથયાત્રાના રૂટ પર નજર રખાશે. પેરા મોટરને એક હાઈટ પર ઉડાવાશે. તેમાં રહેલા કેમેરાની ફીડથી અધિકારીઓ નજર રાખશે. હાલ પેરા મોટરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. રથયાત્રા રુટ પર વાહનોની અવર જવર નહી થાય અને તેના વૈકલ્પિક રુટ પણ આપવામાં આવ્યા છે. તથા પાર્કિંગ માટે પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ 30 જૂન અને 1 જુલાઈથી અમદાવાદના રથયાત્રાના રુટમાં આવતા વિસ્તારોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા છે. તેમજ કેટલાક વિસ્તારો અને રસ્તા પણ રથયાત્રાના 1 જુલાઈના દિવસે બંધ રહેશે.

બે દિવસમાં આ સ્થળોએ પાર્કિંગ કરતા નહિ

વૈશ્ય સભા, ખમાસા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુંવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ, દાણા પીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધી.

પહેલીવાર હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરાયું

145 જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે અમદાવાદમાંથી પસાર કરવા પોલીસનો સુચારૂં અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બીજી બાજુ રથયાત્રા પહેલા પોલીસ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતી હોય છે. પરંતુ પહેલી વખત રથયાત્રા પહેલા આજે પોલીસે હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર સર્વેલન્સ કર્યું હતું. આજ સુધી પુરીની રથયાત્રામાં પણ હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કરવામાં આવતું નથી, પરંતુ પ્રથમ વખત અમદાવાદની રથયાત્રાનું એરિયલ ઓબ્ઝર્વેશન 5 પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયું હતું. જેમાં પોલીસ કમિશ્નર , ક્રાઇમ JCP, ટ્રાફિક JCP, અને સેક્ટર 1-2 ના અધિકારીઓ હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કર્યું હતું. રથયાત્રાના દિવસે પણ રૂટ સહિત કાલુપુર રેલવે સ્ટેશન અને સંવેદનશીલ શીલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરાશે.

(5:14 pm IST)