Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હિંમતનગર:છાપરીયા ગામના પાટિયા નજીક નીલગાય પુરપાટ ઝડપે જતી કાર સાથે ટકરાતા મોત

હિંમતનગર: બાયડ-દહેગામ હાઈવે ઉપર છાપરીયા ગામના પાટીયા પાસે દોડતી કાર સાથે નિલગાય ટકરાઈ પડતાં કારનો કચ્ચરધાણ વળ્યો હતો. ઈજાગ્રસ્ત નિલગાય દૂર ફંગોળાયા પછી મોત નિપજ્યું હતું. બાયડ તાલુકામાં નિલગાયનો ઉપદ્રવ વધવા છતાં વન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી થતી નથી જેના કારણે નાના-મોટા વાહન ચાલકો ઉપર જીવનું જોખમ વધ્યું છે. અકસ્માતમાં ડાભા ગામના એક પરિવારનો ચમત્કારીક બચાવ થયો છે.

વર્ષ-ર૦૦૦-ર૦૦૧ થી બાયડ તાલુકામાં નિલગાયની વસતી નિયંત્રિત કરવા માટે વન વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવે છે પરંતુ કોઈ કામગીરી થતી નથી જ્યારે હાઈવેની બંન્ને બાજુ ચોઈલાથી ભૂડાસણ સુધી તારની વાડ કરવાની માંગણી પણ અભરાઈ ઉપર મૂકી છે જેના કારણે દર સપ્તાહે નિલગાય વાહન ચાલકો સાથે અથડાઈ પડવાના બનાવ નોંધાય છે. તા.ર૭ના રોજ ડાભા ક્રિએટીવ સ્કુલના ટ્રસ્ટી પિયૂષભાઈ એસ. પટેલ તેમનાં પત્ની વગેરે કાર લઈને છાપરીયા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યાર રસ્તો ઓળંગતી નિલગાય કાર સાથે ટકરાઈ પડતાં કારના આગળના ભાગનો કચ્ચરધાણ વળ્યો હતો અને સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ઝાડ પાસે અથડાઈ પડી હતી. સદનસીબે શાળાના ટ્રસ્ટી પરિવારનો ચમત્કારીક બચાવ થયો હતો. પરંતુ ઈજાગ્રસ્ત બનેલી નિલગાયનું મોત નિપજ્યું હતું.

(5:20 pm IST)