Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નડિયાદ:ઇન્દોર-અમદાવાદ હાઇવે નજીક મોડીરાત્રે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર બે શખ્સોના મોત

નડિયાદ : ઇન્દોર-અમદાવાદ હાઇવે પરના મેનપુરા ચોકડી પાસે ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં ટ્રકના ચાલકે મોટર સાયકલને અડફેટ મારતા મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.

મળતી વિગતો અનુસાર બાલાસિનોરની વૈષ્ણવી સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર વાળંદ અને ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા અમિતકુમાર ભટ્ટ થર્મલ જી.ઇ.બી કોલીયાર્ડમા સાથે કામ કરતા હતા.જેથી બંને  સાથે અપડાઉન કરતા હતા.ગત રોજ જીતેન્દ્રકુમાર અને અમિતકુમાર થર્મલથી નિકળી પોતાની મોટર સાયકલ પર બાલાસિનોર તરફ આવી રહ્યા હતા.તે સમયે મેનપુરા ચોકડી પાસેથી પસાર થતી એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જીતેન્દ્રકુમારની મોટર સાયકલને અડફેટ મારતા બંનેને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નિપજયા હતા.

આ બનાવની જાણ અરવિંદભાઇ વાળંદને થતા તેઓ બનાવ સ્થળે પહોચ્યા હતા.તે સમયે બંને વ્યક્તિઓને રોડની સાઇડમાં સુવડાવ્યા હતા.અને બંને વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર મૃત્યુ પામ્યા હતા.જ્યારે ટ્રકનો ચાલક તેની ટ્રક મૂકી બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે અરવિંદભાઇ શંકરભાઇ વાળંદે સેવાલિયા પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:42 pm IST)