Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદના કુબેરનગરમાં મધરાતે 3 માળનું કોમર્શિયલ બિલ્‍ડીંગ ધરાશાયીઃ અંદર કામ કરી રહેલા 3 યુવકો દટાયાઃ 1નું કરૂણ મોતઃ બે સારવાર હેઠળ

અમદાવાદઃ અમદાવાદઃ શહેરના કુબેરનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. કુબેરનગર વિસ્તારમાં આવેલા A-વોર્ડ રેલવે ફાટક પાસે આવેલી પ્રેમ બિલ્ડિંગનું ત્રણ માળનું કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ યુવકો અંદર કામ કરી રહ્યાં હતાં. જેમાં એકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનામાં મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં ત્રણ યુવકો સિલાઇ કામ કરી રહ્યાં હતાં. એ જ સમયે ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. જો કે બિલ્ડિંગનો ધડામ કરતો પડવાનો અવાજ આવતા આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. જો કે સમયસર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે આ કોર્મશિયલ બિલ્ડિંગ ઘણાં સમયથી જર્જરિત હાલતમાં હતું.

અન્ય એક ઘટનાની જો વાત કરીએ તો, મહેસાણાનાં કડીમાં પણ આવી જ એક મોટી દુર્ઘટના બની છે. મહેસાણાના કડીમાં મીલની ચાલીમાં દીવાલ ધરાશાયી થતા 3 લોકો ઘાયલ થયા છે. જો કે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, મહેસાણાનાં કડીમાં મીલની ચાલીમાં દીવાલ ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. દીવાલ પડતા મકાનમાં રહેલા માતા સહિત બે પુત્રી ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

(5:30 pm IST)