Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુમ થયેલા વૃદ્ધની તેમના જ ઘરના પીપડામાં લાશ મળી

લાશ મળતાં પોલીસ દોડતી થઈ : વૃદ્ધે આપઘાત કર્યો છે કે તેમની હત્યા થઈ છે તે તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે

ભાવનગર,તા.૨૭ : શહેરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા વૃદ્ધ ગુમ થયા હતા. જો કે, તેમના ઘરમાં મૂકેલા અનાજ રાખવાના પીપડામાંથી જ તેમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ વૃદ્ધ અસ્થિર મગજના હતા.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશને કબજે કરીને પોસ્ટમોર્ટ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેશન રોડ પર આવેલા બે માળના મકાનમાં રહેતા અને કેટલાક સમયથી માનસિક બીમારીથી ગ્રસ્ત આરીફભાઈ લાખાણી રવિવારે સવારે ઘરે કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા. પરિવારે શોધખોળ કરતા તેમનો કોઈ પત્તો ન લાગતા સોશિયલ મીડિયા પર તેમના ગુમ થયાની પોસ્ટ વાયરલ કરી હતી.

આ દરમિયાન બપોરે તેમના જ ઘરમાંથી અનાજ ભરવાના પીપડામાંથી વૃદ્ધની લાશ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બનાવની જાણ થતાં એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરીફભાઈના મૃતદેહને કબજે કરીને સરટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

 હાલ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે, વૃદ્ધે આપઘાત કર્યો છે કે તેમની હત્યા થઈ છે? જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાશે તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને પરિવારજનો તેમજ વૃદ્ધની હિસ્ટ્રીના આધારે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરીફભાઈ લાખાણી નામના વૃદ્ધની માનસિક અસ્થિરતાને પગલે ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ દરમિયાન વૃદ્ધની રવિવારે તેમના ઘરમાં અનાજ ભરવાના પીપડામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

(9:33 pm IST)