Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ધોધમાર વરસાદથી સરખેજ અંડરબ્રિજમાં પાણી ભરાયા

અંડરબ્રિજમાં એકનું ડૂબી જતાં મોત : અંડરપાસમાં ત્રણ યુવક ફસાયા હતા જો કે, બે જણા બહાર નીકળી ગયા હતા, જ્યારે ત્રીજા યુવકનું મોત નિપજ્યું હતું

અમદાવાદ,તા.૨૭ : સવારથી વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ભારે વરસાદને કારણે સરખેજ- ધોળકા રોડ પર નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેમાં ત્રણ યુવક ફસાતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

જો કે, ફાયરબ્રિગેડ ત્યાં પહોંચે તે પહેલા જ યુવકનું મોત થઈ ગયું હતું. બાદમાં યુવકની શોધખોળ કરીને તેની લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં મૃતકની ઓળખ સહિતના કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ અમદાવાદમાં સવારે પડેલા વરસાદને પગલે સરખેજ અંડરપાસમાં પાણી ભરાયા હતા. જેમાં ત્રણ યુવક ફસાયા હતા, જો કે, બે જણા બહાર નીકળી ગયા હતા. જ્

યારે ત્રીજો યુવક ડૂબી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ નવા વણઝારવાસના કાનજી વણઝારા તરીકે થઈ છે. અમદવાદમાં સવારે ૧૦ વાગ્યાની આસપાસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેથી શહેરના એસજી હાઈવે પર ભારે વરસાદ થતાં ઘણાં ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. શહેરના પૂર્વ તથા પશ્ચિમના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં વરસાદ બંધ થયા પછી પણ વિસ્તારોમાં ભરાયેલા પાણી હજી ઓસર્યા નથી. સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પ્રહલાદનગર, શિવરંજની, ગોતા, શાસ્ત્રીનગર, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું થયા બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. શાસ્ત્રીનગરમાં રસ્તા પર પડેલા ખાડામાં બીઆરટીએસ બસ ફસાઈ જવાની પણ ઘટના બની છે.

શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા જે બાદ ભારે ધોધમાર વરસાદ થયો હતો. આ વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

(9:30 pm IST)