Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડોદરામાં કોમેડિયન મુનાવર ફારૂકીનો શો રદ : વિરોધ વધતા આયોજક કંપનીનો લેવાયો નિર્ણય

કોમેડી શોમાં હિન્દુઓની લાગણી દુભાય તેવા પ્રકારની ટિપ્પણી અને હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટીપ્પણી કરતા મુનાવરને લઈને વિવાદ

વડોદરામાં વિવાદાસ્પદ કોમેડિયન મુનાવર ફારૂકીનો શો થવાનો હતો જે હવે રદ્દ કરવામાં આવ્યો છે. મુનાવર ફારૂકી સામે વિરોધ વધતા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે આયોજકો દ્વારા શો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે તેનો શો વડોદરામાં નહીં થાય. આયોજક કંપની દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનગર ગૃહને પત્ર લખી જાણ કરવામાં આવી છે. આ શો અમદાવાદ, સુરત અને વડોદરામાં થવાનો હતો. પરંતુ વડોદરાના આયોજકોએ જ વિવાદ વધે તે પહેલા શો રદ કરી દીધો છે.

 અગાઉ તેના કોમેડી શોમાં હિન્દુઓની લાગણી દુભાય તેવા પ્રકારની ટિપ્પણી અને હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટીપ્પણી કરતા મુનાવરને લઈને વારંવાર વિવાદ થયેલો છે. જેને લઈને મુનાવરનું ગુજરાત ટૂરનો વિરોધ થયો હતો. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકીનો કાર્યક્રમ જો વડોદરામાં યોજાશે તો જોવા જેવી થશે એમ કહીને કેટલાક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમને રદ કરવાની માગણી હિન્દુ રક્ષક સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત બજરંગ દળે પણ શોના આયોજકોને ધમકી આપી હતી. અને કહ્યું હતું કે ગુજરાતમાં કોઈ પણ સ્થળી મુનાવર ફારૂકીનો શો નહીં થવા દેવામાં આવે. તેમજ જો શો થશે તો આર્થિક રીતે અને શારીરિક રીતે નુકસાન થવાની તૈયારીની પણ ધમકી બજરંગ દળે આપી હતી.

(10:22 pm IST)