Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભરણપોષણ પેટે રૂ.૪૫ લાખ આપ્યા પણ પત્નિએ કહ્યુઃ રૂપિયા નહીં : મારે તો પતિ સાથે જ રહેવું છે'

મહિલાનો પતિ ૧૦ વર્ષથી બીજી સ્ત્રી સાથે રહે છે અને તેમને બે બાળકો પણ છે જેને લઈને હાઈકોર્ટનો સવાલઃકોર્ટે પત્નીને કહ્યું તમને આટલા વર્ષોથી તો સાથે રહ્યા નથી ત્યારે હવે કઈ રીતે સાથે ખુશ રહી શકશો : પતિ પત્ની લગ્નના થોડા સમયમાં જ છૂટા પડી ગયા, પરંતુ પત્નીને છૂટાછેડા નથી જોઈતા, જેથી તેણે સ્થાનિક ફેમિલી કોર્ટથી લઈને, હાઈકોર્ટ સુધી લડત આપી

અમદાવાદ, તા.૨૮: પતિ પત્ની વચ્ચે અણબનાવ અને બીજા દ્યણા કારણોસર આજના સમયમાં છૂટાછેડા ખૂબ જ સામાન્ય વાત બનતી જઈ રહી છે. પહેલા દાંપત્ય જીવનમાં જે પડ્યું પાનું નિભાવી લેવાની કપલ્સની ધીરજ આજે ફાસ્ટ યુગમાં ખૂબ જ ઓછા કપલમાં જોવા મળે છે. તેવામાં જામનગરનો છૂટાછેડાનો એક કિસ્સો ગુજરાત હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જેને સાંભળીને કોર્ટ પણ એકવાર અવાચક બની ગઈ હતી. પોતાની પત્નીને છૂટાછેડા આપીને ૧૦ વર્ષથી લિવ ઇનમાં રહેતા પતિએ પત્નીના બેન્ક એકાઉન્ટમાં ૪૫ લાખનાં ભરણપોષણની રકમ જમા કરાવી હોવા છતા પત્નીએ ભરણપોષણ લેવા ઇન્કાર કરીને પતિની સાથે રહેવા હાઇકોર્ટમાં અરજી કરી છે.

પત્નીની આ અરજીની સુનાવણી જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ત્યારે કોર્ટે મહિલાને એવી ટકોર કરી હતી કે, તમારો પતિ ૧૦ વર્ષથી તમને મૂકીને બીજી મહિલા સાથે લિવ ઇનમાં રહે છે, દ્યણું સારું ભરણપોષણ આપવા તૈયાર છે છતાં તમે શા માટે હવે ફરી પતિ સાથે રહેવા માગો છો? ૧૦ વર્ષથી તો સાથે રહેતા નથી હવે શું કામ તેમની સાથે રહેવું છે? જામનગરની મહિલાએ ફેમિલી કોર્ટ દ્વારા આપેલી છૂટાછેડાની ડીક્રીના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં પત્ની તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે તેનો પતિ ૧૦ વર્ષથી અન્ય મહિલા સાથે લિવ ઇનમાં રહે છે અને તેમને બે બાળકો છે. તેના પતિએ ભરણપોષણ માટે ૪૫ લાખ બેન્કમાં જમા કરાવ્યા છે પરતું તેને ભરણપોષણની રકમ નથી જોઇતી તેને પતિ સાથે રહેવું છે. જેથી કોર્ટે પૂછ્યું હતું કે શું તમે પતિ સાથે રહીને સુખી જીવન જીવી શકશો? કારણ કે તમારો પતિ તમને મૂકીને ૧૦ વર્ષથી બીજી સ્ત્રી સાથે રહે છે તેમને બે બાળકો છે. એટલું જ નહીં તમારા ભવિષ્ય માટે ભરણપોષણની સારી રકમ પણ આપવા તૈયાર છે ત્યારે શા માટે એવા જીવન તરફ જવા માગો છે જયાં કદાચ તમને શાંતિ ન મળે? આ અંગે કોર્ટે આખરી સુનાવણી દિવાળી વેકેશન બાદ મુકરર કરી છે.

લગ્નના ટુંકા સમયમાં જ પતિ- પત્ની વચ્ચેના અણગમાને કારણે બન્ને જુદા રહેવા નિર્ણય લીધો હતો. પતિને પત્ની સાથે બિલકુલ મનમેળ ન હોવાથી અને હાઇ પ્રોફાઇલ પરિવારમાંથી આવતો હોવાથી તેણે છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જયારે પત્નીએ કોઇપણ હિસાબે પતિને છુટાછેડા નહી આપવા દહેજ, દ્યરેલું હિંસા અને માનસિક ત્રાસ અંગેની વારફરતી ફરિયાદો કરી હતી. ફેમિલી કોર્ટે છૂટાછેડા માન્ય કર્યા હતા અને પતિને કાયમી ભરણપોષણની રકમ આપવા આદેશ કર્યો હતો. પરતું પત્નીએ છૂટાછેડા રોકવા માટે કોર્ટમાં નવેસરથી અરજી કરી હતી.

પતિ તરફથી હાઇકોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, પત્ની ખોટી ફરિયાદો અને અરજીઓ કરીને તેના લગ્ન થવા દેતી નથી. જયા સુધી આ અપીલ પેન્ડિંગ છે ત્યા સુધી મારા પુનૅં લગ્ન થઇ શકે તેમ નથી. લીવ ઇનમાં જેની સાથે રહું છું તેની સાથે લગ્ન ના થાય તે માટે પત્ની આવા નુસખા અપનાવે છે. હવે આ અંગે હાઈકોર્ટે પત્નીને કેટલાક પ્રશ્નો કર્યા છે. જેનો જવાબ આપવા જણાવીને આગામી સુનાવણી દિવાળી મુલતવી રાખી છે.

(3:35 pm IST)