Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોંઘવારીના માર વચ્‍ચે રાહતરૂપ સમાચારઃ સીંગતેલના ભાવમાં રૂ.50 અને કપાસીયા તેલના ભાવમાં 15નો ઘટાડોઃ પામોલીન તેલના ભાવ યથાવત

ખાદ્યતેલમાં બેફામ સટ્ટાખોરીના પગલે ભાવમાં સતત ઉથલપાથલ

રાજકોટ: મોંઘવારીના મારથી ત્રસ્ત જનતા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 50 અને કપાસિયા તેલમાં રૂપિયા 15 નો ઘટાડો થયો છે. તો આ તરફ પામોલિન તેલના ભાવમાં કોઈ ફેરફરા જોવા મળી રહ્યો નથી.

ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો

ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વર્ષના મધ્યથી ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હતો. જો કે, ગૃહિણીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે નહીં. સિંગતેલમાં છેલ્લા ચાર દિવસમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે.

ભાવ ઘટાડા બાદ 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2480 થી 2530 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના 2385 થી 2435 રૂપિયાના ભાવે સોદા થયા છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં નવરાત્રી પછી સિંગતેલની સિઝન ખુલતી હોય છે. ત્યારે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાની આશા છે.

પામોલિન તેલ પર અંકુશ નહિ

આશ્ચર્યની વાત એ છે કે પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે. 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે. છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. ગત 3 ઓગસ્ટના રોજ રાજકોટમાં પામોલીન તેલનો ભાવ 1995-2000 રૂપિયા હતો. જેના સોદામાં પણ વધારો થયો હતો. પામોલિન તેલના ભાવ પણ 2 હજારની સપાટી કુદાવી છે અને તે 2030 રૂપિયા થઈ ગયો છે.

(4:32 pm IST)