Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમદાવાદમાં નરેન્‍દ્રભાઇના આગમનને લઇને કાલે સુરક્ષા અને વ્‍યવસ્‍થાના ભાગરૂપે 5 રૂટ ટ્રાફિક માટે બંધ કરાશેઃ પ્રથમ વખત 5 જેટલા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે

પોલીસ કમિશનર દ્વારા શહેરના કેટલાક રોડ બંધ કરવા માટે જાહેરનામુ બહાર પડાયુ

અમદાવાદઃ કાલથી નરેન્‍દ્રભાઇ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાત લેશે. લોકોને હાલાકી ન પડે તે માટે તંત્ર અને પોલીસ દ્વારા દરેક ટ્રાફિક જંકશન પર બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાન તૈનાત કરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29મી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી દ્વારા 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. જે કાર્યક્રમમાં અંદાજે 1.25 લાખ લોકો હાજર રહેવાના હોવાથી પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થાઓ કરાઈ. ટ્રાફિક ન થાય તે માટે પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર કાર્યરત રહેશે. કાર્યક્રમમાંથી મોડી રાત્રે ફરતી વખતે લોકોને હાલાકી ન પડે તે માટે દરેક ટ્રાફિક જંકશન પર બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત 5 જેટલા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેથી કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સર્જાય તો તરત જ ડ્રોન કેમેરામાં દેખાય અને તે ટ્રાફિકને દૂર કરી શકાય. અમદાવાદમાં કુલ 30 હજાર કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે.

અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર નજીકના મેદાનમાં જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમો દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ શહેરના કેટલાક રોડ બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કયા રૂટ બંધ રહેશે

- સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો માર્ગ

- વૈકલ્પિક રૂટ સૂરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશે

- આ રૂટ બંધ રહેશે થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશે

- વૈકલ્પિક રૂટ હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશે

- આ રૂટ બંધ રહેશે ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ બંધ

- વૈકલ્પિક રૂટ પકવાન ચાર રસ્તા, માનસી, વસ્ત્રાપુર તળાવ,અંધજન મંડળ તરફ અવર જવર કરી શકાશે

પીએમના પ્રવાસ કાર્યક્રમ પર નજર કરીએ તો

29 સપ્ટેમ્બર

    સવારે 10 વાગે સુરત એરપોર્ટ પહોંચશે

    ત્યાંથી રોડ શો યોજી સભા સ્થળે પહોંચશે

    સવારે 11 થી 12.30 સુધી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભા ને સંબોધન કરશે

    12.30 કલાકે ભાવનગર જવા રવાના થશે

    1.30 વાગે ભાવનગર પહોંચશે પીએમ મોદી

    2 કિ.મી લાંબા રોડ શો થી પીએમ નું સ્વાગત કરાશે

    બપોરે 2 થી 3 વાગ્યા સુધી વિવિધ પ્રોજેક્ટ ના લોકાર્પણ અને સંબોધન કરશે પીએમ

    બપોરે 3. 30 કલાકે ગાંધીનગર આવવા રવાના થશે

    સાંજે 4.15 કલાકે રાજભવન પહોંચશે પીએમ મોદી

    સાંજે 6. 30 વાગ્યા સુધી રાજભવન રોકાશે પીએમ

    સાંજે 7 થી 8.30 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

    36 માં રાષ્ટ્રીય રમતોત્સવની શરૂઆત કરાવશે

    રાત્રે 9 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં પહોંચશે પીએમ મોદી

    GMDC મેદાનમાં માં અંબાની આરતીમાં ભાગ લેશે

    રાત્રે 9.30 કલાકે ગાંધીનગર જવા રવાના થશે

    રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે પીએમ મોદી

30 સપ્ટેમ્બર

    સવારે 10 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે

    ત્યાંથી વંદે ભારત એક્સપ્રેસમાં કાલુપુર જશે પીએમ

    સવારે 10.30કલાકે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે

    સવારે 11 કલાકે કાલુપુર મેટ્રો સ્ટેશન થી મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવશે

    મેટ્રો રેલમાં બેસીને પીએમ મોદી દૂરદર્શન મેટ્રો સ્ટેશન પહોંચશે

    સવારે 11.30 કલાકે AEC ગ્રાઉન્ડ માં જનસભા ને સંબોધન કરશે

    બપોરે 1. 30 કલાકે રાજભવન પહોંચશે

    સાંજે 4 કલાકે દાંતા જવા રવાના થશે

    4.30 કલાકે દાંતા પહોચી જનસભા ને સંબોધન સાથે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે પીએમ

    જનસભા બાદ પીએમ મોદી સાંજે અંબાજી મંદિર દર્શન કરશે

    ત્યાંથી ગબ્બર દર્શન કરવા જશે પીએમ મોદી

    રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે

    રાત્રે 11 કલાકે અમદાવાદ થી દિલ્લી જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અંબાજી મંદિરમાં પૂજા કરશે તેમજ ગબ્બર ખાતે પણ મહાઆરતીમાં ભાગ લેશે. PM મોદી શ્રદ્ધાળુઓની સુવિધા માટે 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે. દર વર્ષે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે. જેને ધ્યાને લઇ, રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને PRASAD યોજનામાં આવરી લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. જેનો કેન્દ્ર સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને શ્રધ્ધાળુઓ માટે વિવિધ સગવડો ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી. આ નાણાંકીય ફાળવણીમાંથી અંબાજી મંદિર ખાતે CCTV કેમેરા, સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિંગ પોઇન્ટ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાશે. આ તમામ સુવિધાઓનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30મી સપ્ટેમ્બરે ભૂમિપૂજન કરશે.

(5:31 pm IST)