Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સ્‍માર્ટ સીટી અમદાવાદમાં વરસાદી પાણીથી રસ્‍તાઓમાં ખાડા પડી ગયાઃ તંત્ર દ્વારા 800 કરોડના ખર્ચે મરામત કરવા છતાં રસ્‍તા ઉબડખાબડ

રોડના કામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્‍ટાચાર થયો હોવાનો શહેરીજનો દ્વારા આક્રોશ

અમદાવાદઃ અમદાવાદને સ્‍માર્ટ સીટીનો દરજ્‍જો મળ્‍યો હોવા છતાં રસ્‍તાઓની સ્‍થિતિ ખરાબ છે. તંત્ર દ્વારા 800 કરોડના ખર્ચે મરામત કરવા છતાં રસ્‍તાઓમાં વપરાતા મટીરીયલ્‍સની ગુણવત્તા બાબતે સવાલો ઉઠયા છે. વરસાદમાં સમગ્ર શહેરમાં રોડ-રસ્‍તાઓ ધોવાઇ જતા ખાડા પડી ગયા હતા. રોડના કામોમાં વપરાતા મટીરીયલ્‍સની ગુણવત્તા નબળી હોવાનું બહાર આવ્‍યુ છે. લોકોમાં સ્‍માર્ટ સીટીમાં સ્‍માર્ટ ભ્રષ્‍ટાચાર થયો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

ચાલુ વર્ષે પડેલ વરસાદમાં સમગ્ર અમદાવાદમાં તમામ ઝોનમાં મળીને 25238 જેટલા ખાડા પડ્યા હતાં. જેથી રોડ રીસરફેસ કરવાના કામો કરવાની ફરજ પડી છે સત્તાધારી ભાજપના રાજમાં સમગ્ર અમદાવાદમાં તમામ ઝોનના મળી કુલ 689 જેટલા રોડને ફરીથી રીસરફેસ માટે રૂા.800 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવાની સત્તાધારી પક્ષ ભાજપને ફરજ પડી છે. તેનું નાણાંકીય ભારણ સામાન્ય પ્રજાજનો પર પડ્યું છે.

689 જેટલા રોડમાંથી માત્ર 185 જેટલા રોડના કામો થયાં છે અને 134 જેટલા રોડના કામો પ્રગતિમાં છે, જે તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે એટલે કે મંજુર થયેલ રૂા.800 કરોડના ખર્ચે બનાવવાના કુલ 689 રોડમાંથી રૂા. 445.86 કરોડના ખર્ચે માત્ર 323 જેટલા રોડના કામો થવાના છે. જેથી માંડ 50 % પણ કામ પૂર્ણ થઇ શકવાના નથી જે સ્પષ્ટ બાબત છે અને જે કંઇ પણ રોડના કામો થયા છે તે પૈકી મોટા ભાગના રોડના કામોની ગુણવત્તા નબળી હોવાનું પણ જણાય છે.

આજ રોજ ડ્રાઇવ-ઇન રોડ થી માનવ મંદિર જવાના રસ્તા પર બનેલ રોડની ગુણવત્તા બાબતે જાતતપાસ કરેલ તે સમયે મેં મારી પેન રોડમાં ઘુસાડતાં રોડ પરનો ડામર સાથે ઉખડી ગયા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે રોડના કામમાં હજુ પણ મોટા પાયે ગેરરીતિ અને ભષ્ટ્રાચાર કરવામાં આવી રહયો છે. જેથી સ્માર્ટ સીટીના રોડ માત્ર પેનથી ઉખડી જવા પામે! તેમ છતાં કહેવાય સ્માર્ટ સીટી? કે પછી ભાજપનો સ્માર્ટ ભષ્ટ્રાચાર કહેવાય? જેથી સ્પષ્ટ થાય છે કે રોડના કામમાં મોટા પાયે ગેરરીતી અને ભષ્ટ્રાચાર થયેલ છે.

તાજેતરમાં સત્તાધારી ભાજપના શાસકો દ્વારા જાહેર કરવામાં આવેલ કે તા.૨૦-૦૯-૨૨ સુધીમાં સમગ્ર અમદાવાદ શહેરના તમામ રોડ ખાડામુક્ત થઇ જશે, પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે હજુ પણ મોટા ભાગના રોડ પરના ખાડા યથાવત છે. રાતો રાત રોડના કામો કરવામાં આવે છે જયારે તે રોડ એટલા ખરાબ પણ ન હતાં કે નવા રોડ બનાવવા પડે તેમ છતાં વી.વી.આઇ.પી.ઓને વહાલાં થવા તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપના શાસકો પી.એમ.,સી.એમ.ને વહાલાં થવા કોમન મેન (પ્રજા)ની સંર્પૂણ અવગણના કરી રહ્યા છે.

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રોડ રીસરફેસ કરવાના કામોનું જે આયોજન કરેલ છે, તેનાથી જ સ્પષ્ટ થાય છે કે સત્તાધારી ભાજપ દ્વારા પ્રજાને ખોટા વાયદા કરી પ્રજાને લોલીપોપ બતાવી પ્રજા સાથે દ્રોહ કરવામાં આવી રહયો છે. હજુ પણ અમદાવાદ શહેર મેટ્રો સીટીની જગ્યાએ ખાડા સીટી છે, ત્યારે રોડ રીસરફેસ કરવાની કામગીરી મંદ ગતિથી થઇ રહી છે અને તેની ગુણવત્તા પણ નબળી જણાઇ રહી છે. તેમજ મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તથા અંદરના નાના મોટા ટી.પી. રસ્તા હજુ પણ તુટેલા છે તેનું કોઇ વ્યવસ્થિત સમારકામ કરવામાં આવેલ નથી.

આગામી દિવસોમાં નવરાત્રિ, ઇદેમિલાદ તથા દિવાળીના તહેવારોના દિવસો છે, જેમાં તમામ નગરજનો ઉત્સાહથી તેઓના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે શહેરમાં વિવિધ રોડ તાકીદે રીસરફેસ કરવા જોઇએ. પરંતુ ભાજપના સત્તાધીશો દ્વારા રોડ બનાવવા બાબતે અપાયેલ ડેડલાઇન મુજબ કામ થઇ જશે તે શકાંસ્પદ બાબત છે.

જેથી રોડના કામોમાં થતી ગેરરીતી તથા ભટ્ટાચાર બંધ કરી સત્તાધારી ભા.જ.પ દ્વારા કરાતી પ્રજાની અણગણનાને કારણે પ્રજા હેરાન-પરેશાન થાય તે સામે અમારો સખ્ત વિરોધ છે. જેથી રોડના કામોમાં થતી ગેરરીતી તથા ભષ્ટ્રાચારને રોકી પ્રજાને સારી અને ઉત્તમ ગુણવત્તાવાળા રોડ મળી રહે તેવા રોડ બનાવવા અમારી માંગણી છે.

પ્રજાહિતમાં રોડ રીસરફેસ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા તથા હલકી ગુણવત્તાવાળા રોડ બનેલ હોવા બાબતે જે કોઇ પણ કોન્ટ્રાકટરો તથા અધિકારીઓ જવાબદાર હોય તેની સામે પ્રજાહીતમાં કડક કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

(5:34 pm IST)