Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ૨૪,૦૦૦ કરોડથી વધુનો લાર્સન એન્ડ ટુબ્રોને સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો

ગુજરાતમાં ૩૨૫ કિલોમીટરના કામ માટે લાર્સન એન્ડ ટુબ્રોને કોન્ટ્રાક્ટ આપ્યો

,અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રોની સાથે દેશનો સૌથી મોટો ૨૪,૦૦૦ કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ કરી લીધો છે. લાર્સન એન્ડ ટુબ્રોએ જણાવ્યું છે કે તેણે કામ કરવા માટે લોકોને ગોઠવી દીધા છે. એનએચએસઆરસીએલએ ગુજરાતમાં ૩૨૫ કિલોમીટરના કામ માટે લાર્સન એન્ડ ટુબ્રોને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

 વડાપ્રધાન મોદીએ આ યોજના માટે મહારાષ્ટ્રમાં જરૂરી જમીનની રાહ જોવાના બદલે ગુજરાતમાં પડનારા હિસ્સાનું કામ ઝડપથી પૂરું કરવા કહ્યું હતું. દેશની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના એક હિસ્સાના બાંધકામ માટે ૭,૦૦૦ કરોડથી વધારે રકમનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીએ જો કે કોન્ટ્રાક્ટની નાણાકીય વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે એનએચએસઆરસીએલ તરફથી તેને ૮૭.૫૬૯ કિલોમીટર લાંબો રેલવે ટ્રેક બિછાવવા કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ રેલવે ટ્રેક અમદાવાદથી વડોદરા વચ્ચે બિછાવવાનો છે. તેમા એક સ્ટેશન, નદીઓ પરના પુલ અને ટ્રેનની જાળવણી માટે ડેપો તથા અન્ય સહાયક નિર્માણ કાર્ય માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
   આમ લાર્સન એન્ડ ટુબ્રો પાસે અમદાવાદથી વડોદરા વચ્ચેના ૮૭ કિલોમીટરના ટ્રેક અને વડોદરાથી વાપી સુધીના ૨૩૭ કિલોમીટરના ટ્રેકનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ રુટના નિર્માણ માટે ગુરુવારે નેશનલ હાઇસ્પીડ કોર્પોરેશન અને લાર્સન વચ્ચે થયેલા કરારમાં જાપાનના રાજદૂત સંતોષી સુઝુકી, રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવ, એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરે, લાર્સનના સીઇઓ અને એમડી એસએન સુબ્રમણ્યમ અને નીતિ આયોગના અધિકારીઓ હાજર હતા. કંપની આ રુટ પર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કામ શરૂ કરી દેશે. આ કામ નવેમ્બર ૨૦૨૪ સુધી પૂરું કરવામાં આવશે.
આ રુટ પર સુરત સહિત ચાર સ્ટેશનો બનાવવામાં આવશે. તેમા સુરતનો મેઇન્ટેનન્સ ડેપો સામેલ છે. આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રો આ રુટ પર ૧૪ રિવર બ્રિજ, ૪૨ રોડ ક્રોસિંગ, છ રેલવે ક્રોસિંગ બનાવશે. ભરૂચ અને વડોદરા વચ્ચે ૩૫૦ મીટર લાંબી પહાડી સુરંગ પણ બનાવવામાં આવશે.

(9:21 pm IST)