Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સી-પ્લેન સેવાને ૧ જ મહિનામાં લાગ્યું ગ્રહણઃ અસ્થાયીરૂપે બંધ

અમદાવાદ, તા.૨૮: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટથી જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી, તેને એક મહિનાથી પણ ઓછા સમયમાં અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે. સી પ્લેનમાં મેઈન્ટેનન્સ સંબંધી પરેશાનીઓના કારણે તેને હાલમાં અસ્થાયી રૂપથી બંધ કરવી પડી છે. ૧૯ સીટરના આ પ્લેનને માલદીવ્સમાં પાછું મોકલવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો મુજબ, આ ૧૯ સીટર ટ્વિન ઓટ્ટર ૩૦૦ સી પ્લેન માલદીવ્સની કંપનીની પ્રોપર્ટી હોવાથી તેને શનિવારે માલદીવ્સમાં માકલવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જયંતિના અવસરે ૩૧મી ઓકટોબરે ભારતની પહેલી સી-પ્લેન સેવાનું ઉદઘાટન કર્યું હતું. કેવડિયામાં થયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી નદી સુધી ચાલનારી આ સી-પ્લેન સેવાની શરૂઆત કરી હતી.

ઔપચારિક રૂપથી સી-પ્લેન સેવાની શરૂઆત ૧લી નવેમ્બરથી થઈ હતી. કેવડિયા અને અમદાવાદમાં વોટરડ્રોમ પર પણ તેના ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં એક વ્યકિત માટે ૧૫૦૦ રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. આ ભાડું સીટોના કવોટાના હિસાબથી નક્કી થાય છે. જયારે વધુમાં વધુ ભાડું ૪૮૦૦ રૂપિયા પ્રતિ વ્યકિત સુધી રખાયું છે.

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી સી પ્લેન સર્વિસ દેશની પહેલી આ પ્રકારની સર્વિસ છે. તેને સરકારે ઉડાન યોજના અંતર્ગત શરૂ કરી હતી. આ સર્વિસનું સંચાલન સ્પાઈસજેટ કંપની કરી રહી હતી.

(3:24 pm IST)