Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શાળામાં પાઠ્ય પુસ્તકોના અભાવે ધોરણ-6થી 8ની સામાજિક વિજ્ઞાનની કસોટી મોકુફ રાખવા નિર્ણય

બાકીની સામયિક કસોટી નિયત કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે

અમદાવાદ :  પાઠ્ય પુસ્તકોના અભાવે ધોરણ-6થી 8ની સામાજિક વિજ્ઞાનની કસોટી મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની ઘણી સ્કૂલોમાં ધોરણ-7 અને 8ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તકો પહોંચ્યા ન હોવાથી અભ્યાસક્રમ પુર્ણ કરવો અશક્ય હોવાની રજૂઆતો થઈ હતી. જેના પગલે ધોરણ-6થી 8માં સામાજિક વિજ્ઞાનની સામયિક કસોટી મોકુફ રાખવાનું નક્કી કરાયું છે. જ્યારે બાકીની સામયિક કસોટી નિયત કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે.

રાજ્યની શાળાઓમાં ઓગસ્ટ માસમાં લેવામાં આવનારી સામયિક કસોટીમાં પાઠ્ય પુસ્તકોના પહોંચ્યા ના હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ-7 અને 8માં સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તકો ચાલુ વર્ષે અમલમાં આવ્યા છે અને હજુ ઘણી સ્કૂલોમાં આ પાઠ્ય પુસ્તકો પહોંચ્યા નથી. જેના લીધે સામયિક કસોટી માટેનો અભ્યાસક્રમ સમયસર પુર્ણ કરવો શક્ય ન હોવાથી ધોરણ-6થી 8માં સામાજિક વિજ્ઞાનની સામયિક કસોટી હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિષયની સામયિક કસોટી અંગેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ઓગસ્ટ માસમાં ધોરણ-3થી 5માં પર્યાવરણ અને ગણિત વિષયની સામયિક મુલ્યાંકન કસોટી લેવામાં આવનાર છે. જ્યારે ધોરણ-6થી 8માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની કસોટીઓ યોજવામાં આવનાર છે. આ સામયિક મુલ્યાંકન કસોટીઓ 20 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ પુર્ણ થશે. ધોરણ-3થી 8મા માત્ર બે જ વિષયની સામયિક મુલ્યાંકન કસોટી યોજવામાં આવનાર હોવાથી બે જ દિવસમાં પરીક્ષા પુર્ણ કરવાનું આયોજન કરાયું હતું.

દરમિયાન ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-7 અને ધોરણ-8માં સામાજિક વિજ્ઞાન વિષયના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા છે. નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા બાદ આજે પણ ઘણા વિદ્યાર્થીઓને હજુ સુધી આ વિષયના પુસ્તકો મળ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી જીસીઈઆટી સમક્ષ રજૂઆતો થઈ હતી કે, રાજ્યની બધી જ શાળાઓ સુધી ધોરણ-7 અને 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકો પહોંચ્યા નથી. આ સ્થિતિમાં સામયિક કસોટી યોજવામાં આવે તો મુશ્કેલી પડી શકે તેમ છે.

નિયત સમયમાં કસોટી યોજાય તો અભ્યાસક્રમ પુર્ણ કરવો પણ ખુબ જ મુશ્કેલ હોવાનું પોતાની રજૂઆતમાં જણાવાયું હતું. આમ, ધોરણ-7 અને 8માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકો રાજ્યની તમામ સ્કૂલો સુધી પહોંચ્યા ન હોવાના લીધે સામયિક કસોટીમાં મુશ્કેલી ન થાય તે માટે જીસીઈઆરટી દ્વારા ધોરણ-6થી 8માં યોજાનારી સામાજિક વિજ્ઞાનની કસોટી તમામ માધ્યમમાં હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા અંગે નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. ઓગસ્ટ માસમાં લેવાનારી ધોરણ-6થી 8 સામાજિક વિજ્ઞાન સિવાયની બાકીની તમામ કસોટીઓનું આયોજન યથાવત રહેશે

(11:13 pm IST)