Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના કાળમાં નવા ઘરની માંગ ઘટીઃ નવા ફલેટ-બંગલા-કોમર્શિયલ મિલ્‍કતોના વેચાણમાં 70 ટકાનો ઘટાડોઃ બિલ્‍ડરો રાતોરાત રડતા થઇ ગયા

અમદાવાદ: કોરોના મહામારીએ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રોતા કરી નાખ્યા છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગ ભાંગી પડ્યો છે. પહેલાં લૉકડાઉન અને હવે અનિશ્ચિતતાનો ખતરો... ધંધા-રોજગાર પર સંકટ આવતાં નવી માંગ તળીયે જઈને બેઠી છે અને નવા ફ્લેટ, બંગલો અને કોમર્શિયલ મિલકતોનું વેચાણ 70 ટકા ડાઉન થઈ ગયું છે. નવી ખરીદી ના થતાં મિલકતોના ભાવ પણ તળીયે જઈને બેઠા છે. તેમ છતાં માગમાં કોઈ પણ જાતનો વધારો નોંધાયો નથી. અમદાવાદમાં 100થી વધુ બિલ્ડરોએ પોતાના પ્રોજેક્ટ જેમની તેમ સ્થિતિમાં સ્થગિત કરી નાખ્યા છે અને જૂનાં તૈયાર મકાનોમાં પણ 70 ટકાનો કડાકો બોલી ગયો છે.

આ ક્ષેત્રના જાણકારો સાથે ઝી 24 કલાકે વાત કરી તો તેમનું કહેવું છે કે કોરોના મહામારીનું સંકટ છે ત્યાં સુધી ભાવ ઘટતા રહેશે. હેરિટેજ ઇન્ફ્રા સ્પેસના મેનેજિંગ ડિરેક્ટર ગગન ગોસ્વામીનું કહેવું છે કે, ન માત્ર અમદાવાદ, પરંતુ ગુજરાતનાં દરેક શહેરમાં રિયલ એસ્ટેટનો ઉદ્યોગ ખોટનો ધંધો બની ચુક્યો છે અને બેંકની લોન ભરવામાં પણ બિલ્ડરોને તકલીફ પડી રહી છે. અત્યાર સુધી જે મિલકતોના ભાવ દોઢથી બે ગણા લેવાતા હતા તે મિલકતો અત્યારે મૂળ કિંમતના 30થી 35 ટકા ઓછા ભાવે ખરીદવા કોઈ તૈયાર નથી. લોકો માની રહ્યા છે કે કોરોના કાળમાં હાથમાં રોકડ હશે તો જ કામ લાગશે. મિલકત વેચવા નીકળીશું તો કોઈ લેવા નહીં આવે.

કોરોના મહાસંકટમાંથી કોઈ સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. જેના કારણે લોકોએ પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખી છે. નવું રોકાણ સદંતર બંધ કરી નાખ્યું છે. લોકો માત્ર પોતાના જીવન જરૂરી ખર્ચા જ કરી રહ્યા છે અને ભવિષ્ય પણ અસુરક્ષિત હોવાથી લોકો નવી ખરીદી કરતાં ડરી રહ્યા છે. કોરોનાની સારવાર ખર્ચાળ હોવાથી લોકો પૈસા હાથમાં રાખવા માગે છે. અત્યાર સુધી જે મિલકતો દોઢા કે બમણા ભાવે વેચાતી હતી તે મિલકતોના કોઈ લેવાલ નથી. કોરોના વાયરસ આવ્યા પછી લૉકડાઉન અને રોજગાર-ધંધાની મંદીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગને ચોપટ કરી નાખ્યો છે.

રાજ્યમાં કોરોના મહામારીને પગલે દરેક ધંધા વ્યવસાયને મોટી નુકસાની વેઠવી પડી છે, ત્યારે રિયલ એસ્ટેટનો પણ વ્યવસાય નુકસાનીમાં ચાલી રહ્યો છે. અલબત્ત અનેક નવી કોમર્શિયલ અને રેસિડેન્સીયલ સ્કીમો કરોડોના રોકાણ બાદ પણ સ્થગિત કરવી પડી છે. રાજ્યભરમાં લોકડાઉનના પગલે બિલ્ડર લોબીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. માત્ર અમદાવાદમાં જ 250થી વધુ પ્રોજેક્ટ ચાલતા હવાના એક અંદાજ મુજબ 100 થી વધુ બિલ્ડરોને લોકડાઉન નડી ગયું છે. લોકડાઉન બાદ પણ અનલોકની પરિસ્થિતિમાં 5 થી 10 ટકા રેસિડેન્શિયલ મકાન વેચાણ થયું હોવાનું બિલ્ડર માની રહ્યા છે. અમદાવાદના સરેરાશ 70 ટકા મકાન ઓછા વેચાણ ચાલુ વર્ષે વેચાય થયા છે અને આગામી સમયમાં પણ વર્ષ દરમિયાન 50% જેટલો ઘટાડો નોંધાવવાની ભીતિ છે. બિલ્ડરો એક જ વાત કરી રહ્યાં છે કે, માત્ર અમદાવાદમાં જ નહિ, ગુજરાતના દરેક શહેરમાં આવી હાલત છે. કરોડોનું નુકસાન રિયલ એસ્ટેટમાં પહોચ્યું છે. સાથે જ બેંક લોન ભરવામાં અનેક બિલ્ડરોને કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે.

(5:01 pm IST)