Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય : રાજ્ય સરકારે કુલ ૧૧ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા

આ તળાવો રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો મુખ્યમંત્રી વિજયભાઈનો અભિગમ સાકાર કરશે : અમદાવાદના નગરજનોને કાયમી ધોરણે મળશે હરવા-ફરવાના પર્યાવરણપ્રિય સ્પોટ

ગાંધીનગર : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે. આના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાપાલિકાને જે વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના આંબલીના સર્વે નં.૦૪ ટી.પી. પર, એફ.પી. ૬ માં આવેલ ૨૧૨૬૫ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, ઓગણજના સર્વે નં.૦૮, ટી.પી. રર૮, એફ.પી.૮ માં આવેલ ૫૫૩૯૧ ચો.મી.નું ગામ તળાવ, ઓગણજ સર્વે નં. ૭ર૦, ટી.પી. રર૧, એફ.પી. ૧પ માં આવેલ ૨૨૯૬૬ ચો.મી.નું ગામ તળાવ, સોલા સર્વે નં.૮૩૦ ટી.પી. રર૧, એફ.પી. ૯૩૮માં આવેલ ૧પ૭૮૩ ચો.મી.નું ગામ તળાવ અને હેબતપુર બ્લોક નં.૧૧ ટી.પી. ર૧૭, એફ.પી. ૧૧માં આવેલ ૩૪૭૦ર ચો.મી.નું ગામ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવવા સૂચના આપી છે.
મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો તથા જૂન અને જુલાઇ મહિનામાં ૧-૧ તળાવ એમ કુલ છ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. હવે આ વધુ પાંચ તળાવો પણ સોંપવાના નિર્ણય સાથે કુલ ૧૧ તળાવોના બ્યૂટિફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ નહિ પણ અગિયાર ચાંદ લાગશે.

એટલું જ નહિ, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી એસ.ટી.પી દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાખવામાં આવતાં આ તળાવો બારેય માસ ભરેલા રહેશે તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે. મુખ્યમંત્રીએ મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે તેનો આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાપાલિકા સાકાર કરી શકશે.
રાજ્ય સરકારે અગાઉ જે છ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વેજલપુર તાલુકાના સર્વે નં. ૭૮૩ પરનું ૩૨૦૭૨ ચો.મી. ક્ષેત્રફળનું તળાવ. વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.

(7:37 pm IST)