Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

મંડળોના ભાજપ પદાધિકારી પ્રશિક્ષણ વર્ગનું આયોજન

પ્રદેશ ભાજપ દ્વારા આગામી : ખેડૂતોને માહિતગાર કરવા ઓક્ટોબર માસમાં ભાજપ દ્વારા રાજ્યના ગામોમાં ખેડૂતો સાથે બેઠકો યોજવામાં આવશે

ગાંધીનગર ,તા.૨૮ : મંડળ સ્તરે ભાજપા સંગઠનના માળખાની રચના પૂર્ણ થઈ છે ત્યારે પ્રદેશ ભાજપા દ્વારા આગામી સમયમાં ગુજરાતના તમામ મંડલોના ભાજપા પદાધિકારી પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવશે, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું.  આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવાની દિશામાં 'કૃષિ સુધાર બિલ ૨૦૨૦' થકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે ત્યારે કોંગ્રેસ આ અંગે અપપ્રચાર કરી, ભ્રામકતા ફેલાવી ખેડૂતોનું અહિત કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તેનો પર્દાફાશ કરવા તેમજ આ બિલમાં સમાવિષ્ટ ખેડૂતહિતના વિવિધ પાસાઓ અંગે રાજ્યના ખેડૂતોને માહિતગાર કરવા ઓક્ટોબર માસમાં ભાજપા કિસાન મોરચા તેમજ ભાજપા સંગઠન દ્વારા ગુજરાતભરના ગામોમાં ખેડૂતો સાથે મોટી સંખ્યામાં ખાટલા બેઠકો યોજવામાં આવશે.જાડેજાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે ભાજપાના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતિષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે અપેક્ષિત પદાધિકારીઓની બેઠક યોજાઇ. ભાજપા સંગઠન વિધાનસભાની પેટાચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે.

(9:28 pm IST)