Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા હવે ઇન્ડો-ડેનિશ ટેકનોલોજી : વ્યવસ્થા વધુ સુદૃઢ

ડેનિશ જળ મંચ સાથે કરારો થયા : હવે પાણીનો રિયુઝ : વ્યવસ્થાપન ક્ષેત્રમાં ફાયદાઓ થશે : મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા વિગતો જાહેર

ગાંધીનગર, તા. ર૯ : પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નવા યુગની સાથેસાથે તકનીકી વિનિમય, તાલીમ અને ક્ષમતા નિર્માણમાં રોકાણ અને જ્ઞાનની આપ લે માટેના દ્વાર ખોલવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (જી.ડબલ્યુ. એસ.એસ. બી)એ જળ ક્ષેત્રમાં સહકાર પ્રતિબદ્ઘતા અંગે ઓનલાઈન ઇન્ટરએકટીવ પ્લેટફોર્મ દ્વારા સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરાયા હતા.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ડેનિશ જળ મંચ વચ્ચે સહકાર અંગે MOU સંપન્ન થયા બાદ મંત્રી શ્રી બાવળિયાએ જણાવ્યું હતુ કે, આ MOU થકી રાજયમાં નવા યુગની શરૂઆતની સાથે તકનીકી વિનિમય તાલીમ અને ક્ષમતા નિર્માણમાં રોકાણસાથે જ્ઞાનની આપ-લે માટે નવા દ્વાર ખુલશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. એમ.ઓ.યુનો મુખ્ય હેતુ ડેનિશ વોટર ફોરમ અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વચ્ચે પાણી પુરવઠા, પાણી વિતરણ, ગંદા પાણીના શુદ્ઘીકરણ ગટર વ્યવસ્થાઓ, ગંદા પાણીના રીયુઝ અને પાણીના વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

તેમણે કહ્યું કે, આ એમ.ઓ.યુનો મુખ્ય હેતુ સંયુકતપણે ગુજરાતમાં ઇન્ડો-ડેનિશ જળ ટેકનોલોજી એલાયન્સ (આઈ.ડી.ડબલ્યુ.ટી.એ)ની સ્થાપના અને શુદ્ઘ પાણી અને સ્વચ્છતા અંગે સંયુકત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-૬માં ફાળો આપવાનો છે તથા એમ.ઓ.યુનો સમયગાળો ૫ વર્ષનો નિયત કરાયો છે.

ભારત ખાતેના ડેનમાર્કના રાજદુત શ્રી ફ્રેડી સ્વેને જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ ગુજરાતમાં પાણીના ક્ષેત્રે ઉપલબ્ધીઓ મેળવવાની શરુઆત કરાઈ હતી. આજે ગુજરાત મોડેલનું અમલીકરણ આખા દેશમાં હર દ્યર જલ માટે થઇ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે,  ડેનિશ જળ મંચ, ડેનિશ અને આંતરરાષ્ટ્રીય સંશોધન, જળ ક્ષેત્રે વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય જળ સંસ્થાઓ અને પાણી અંગે આંતરરાષ્ટ્રીય અને યુરોપિયન પહેલમાં ડેનિશ જ્ઞાન અને કુશળતાનો ફાળો આપીને ડેનિશ જળ કાર્યસૂચિને મજબૂત બનાવવાનો લક્ષ્ય છે. ડેનિશ વોટર ફોરમએ ડેનિશ જળ સંગઠનોનું નેટવર્ક છે, જેનો હેતુ ડેનિશ જળ કુશળતા અને જ્ઞાનને પ્રકાશિત કરવા અને સંયુકત ક્રિયાઓને સરળ બનાવવાનો છે. ડેનીશ વોટર પ્રતિનિત્વ કરે છે.

કાર્યક્રમની શરુઆતમાં જી.ડબ્લ્યુ.એસ.એસ.બીના અધ્યક્ષ શ્રી ધનંજય દ્વિવેદીએ MOU સંબંધે વિગતો આપીને પાણી ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે રહેલી વિપુલ તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે સોરેન નોરેલન્ડ કન્નીક માર્કાડઝીન, વાણિજિયક સલાહકાર, ડેનમાર્ક દુતાવાસ, શ્રી મોર્ટન રિઇસ, બોર્ડ સભ્ય, ડેનિશ વોટર ફોરમ, નિવાસી કમિશનર શ્રીમતી આરતી કંવર,  જી.ડબ્લ્યુ.એસ.એસ.બીના સભ્ય સચિવ શ્રી મયુર મહેતા, ડી.બલ્યુ.એફ એશિયા પેસિફિકના હેડ, શ્રી અંશુલ જૈન સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(3:44 pm IST)