Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કોઇ માળા પહેરી રાખે છે, કોઇ ઘોડી સાથે રાખે છે તો કોઇ બંડી અને ટોપી રાખે છે સાથે

સાત-સાત વખત ચૂંટાઇ ગયેલા યોગેશ પટેલ હોય કે પહેલીવાર ચૂંટણી જંગમાં ઉતરેલા આપના ઉમેદવાર ઇસુદાન ગઢવી હોય : ઉમેદવારો પોતાના ગુડલક ચાર્મને સાથે રાખવાનું પસંદ કરી રહ્યા છે : ચૂંટણી જીતવા જાતજાતના ટોટકા કરે છે ઉમેદવારો

અમદાવાદ તા. ૨૯ : શબ્‍દોમાં એટલી શક્‍તિ હોય છે કે તે તમને મોહિત કરી શકે અને એમાંય નેતાઓ તો શબ્‍દોના ધણી હોય છે તેમ કહી શકાય. છતાંય ચૂંટણી ટાણે પ્રભાવશાળી વક્‍તા પણ પોતાના લકી ચાર્મને સાથે રાખવાનું પસંદ કરે છે. હવે આને તમે તેમની અંધશ્રદ્ધા કે સફળતાનો મંત્ર કહી શકો છો. ૭૭ વર્ષના પૂર્વ મંત્રી, ભાજપના વરિષ્ઠ મંત્રી અને સાતવાર ધારાસભ્‍ય રહી ચૂકેલા યોગેશ પટેલ પણ આમાં માને છે. તેમના જેવા અનુભવી નેતાએ પણ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પ્રચાર શરૂ કરતાં પહેલા કબાટમાંથી બંડી અને ટોપી કાઢી લીધી છે. પદધારી ધારાસભ્‍ય યોગેશ પટેલને આ બંડી ૧૯૯૦માં સાવલીવાળા બાબાએ આપી હતી. આ તેમના માટે દૈવી કવચ'થી કમ નથી કારણકે આ બંડીએ તેમને વિરોધીઓ સામે રક્ષણ આપ્‍યું છે સાથે જ તોફાનો જેવી અનિતિ ઘટનાઓમાંથી પણ હેમખેમ બહાર કાઢ્‍યા છે. હું પહેલીવાર ધારાસભ્‍ય તરીકે ચૂંટાયો એ પહેલા ૧૯૮૪માં હું કોર્પોરેશનનું ઈલેક્‍શન પણ હારી ગયો હતો,' તેમ યોગેશ પટેલે જણાવ્‍યું. ૭૫ વર્ષથી વધુના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિયમને બાજુમાં રાખીને આ વખતે પણ ભાજપે યોગેશ પટેલને આઠમી વખત ચૂંટવાની તક આપી છે.

યોગેશ પટેલે અખબાર ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘૧૯૯૦ની ચૂંટણી પહેલા હું સાવલીવાળા બાબા દ્વારા આયોજિત દશેરાના કાર્યક્રમમાં સ્‍ટેજ ડેકોરેશનનું કામકાજ સંભાળતો હતો. સાવલીવાળા બાબા ઝૂંપડીમાં રહેતા હતા અને આખી રાત ભજનો માટે ગાયકોને બોલાવતા હતા. તેમને સ્‍ટેજની સજાવટ એટલી ગમી ગઈ હતી કે, તેમણે મને કાર્યક્રમ પૂરો થાય ત્‍યાં સુધી રોકાવાનું કહ્યું હતું. તેમણે નેતાઓ પર થોડી રમૂજ કર્યા પછી મને આ બંડી આપી હતી.'

કેસરી રંગની ટોપી આપી હતી

યોગેશ પટેલે જણાવ્‍યું કે, સાવલીવાળા બાબા આજે જીવિત નથી પરંતુ વર્ષો પહેલા તેમણે કેસરી રંગની ટોપી ખિસ્‍સામાંથી કાઢીને તેમને આપી હતી. તેમણે મને કહ્યું હતું કે, જયારે પણ હું મુશ્‍કેલીમાં હોઉં ત્‍યારે આ ટોપી મારા ખિસ્‍સામાં રાખું. બાબાએ ભવિષ્‍યવાણી કરી હતી કે હું ક્‍યારેય કોઈ ચૂંટણી નહીં હારૂ', તેમ યોગેશ પટેલે ઉમેર્યું.

જયોતિષની સલાહ લે છે મધુ શ્રીવાસ્‍તવ

જોકે, યોગેશ પટેલની જેમ વાઘોડિયા બેઠક પરથી છ વખત ચૂંટાયેલા ભાજપ નેતા મધુ શ્રીવાસ્‍તવને નસીબનો સાથ ના મળ્‍યો. આ વખતે ભાજપે તેમને ટિકિટ નથી આપી. આ વખતે મધુ શ્રીવાસ્‍તવ દૈવી શક્‍તિ પર વિશ્વાસ રાખીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. હું મારા પારિવારિક જયોતિષની સલાહ પછી જ કંઈ કામ કરું છું. તેમણે જ મને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની સલાહ આપી હતી અને મેં ફોર્મ ભર્યું હતું. ગન્નાખેડૂતને મારું ચૂંટણી ચિહ્ન બનાવ્‍યું છે એ પણ તેમની જ સલાહને આધારે. તેમણે મને કીધું હતું કે, ખેડૂતના હાથમાં શેરડી હોય તેવા ચૂંટણી ચિહ્નથી મારો વિજય થશે,' તેમ મધુ શ્રીવાસ્‍તવે જણાવ્‍યું.

આ મંદિરમાં દર્શન કરે છે ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતા અને તેના મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ પણ કલ્‍યાણપુર તાલુકામાં આવેલા તેમના વતનની નજીક આવેલા કામઈ માતાના મંદિરમાં દર્શન કર્યા પછી જ કોઈ કામ શરૂ કરે છે. ઉમેદવારી પત્ર ભરતાં પહેલા તેઓ માતાના આશીર્વાદ દેવા મંદિરે પહોંચ્‍યા હતા અને ધજા ચડાવી હતી. ઉપરાંત ગુજરાતના મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થયું ત્‍યારે તેમણે હવન પણ કરાવ્‍યો હતો. ઈસુદાન ગઢવી કામઈ માતાના મંદિરમાં દર્શન કર્યા પછી જ અગત્‍યના કામ શરૂ કરે છે ત્‍યારે મતગણતરી પહેલા પણ તેઓ આ મંદિરે દર્શન કરે તેવી શક્‍યતા છે.

માળા પહેરી રાખે છે પબુભા માણેક

દ્વારકા બેઠકના ભાજપ ઉમેદવાર અને સાતવાર ધારાસભ્‍ય ચૂંટાયેલા પબુભા માણેક ગળામાં હંમેશા એક માળા પહેરી રાખે છે. જે તેમને ૧૯૯૫માં તેમના ગુરૂ મંગળદાશ મહારાજે આપી હતી. ૧૯૯૦માં તેઓ પહેલીવાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્‍યા હતા. માનવામાં આવે છે કે, એ પછી તેમને આશીર્વાદ રૂપે આ માળા તેમના ગુરુજીએ ભેટમાં આપી હતી. પબુભા આ માળાને પોતાની નજીક રાખે છે અને તેઓ માને છે કે આની મદદથી તેઓ એકપણ ચૂંટણી નહીં હારે. તેઓ ત્રણવાર અપક્ષ ઉમેદવાર તરીકે, એક વખત કોંગ્રેસની ટિકિટ પરથી અને ત્રણવાર ભાજપની ટિકિટ પરથી જીત્‍યા છ

પછી આવે છે વિનોદ મોરડિયા. તેઓ જયાં જાય ત્‍યાં તેમની ઘોડી સાથે જાય તે સુનિતિ કરે છે! કતારગામના ભાજપ ઉમેદવાર વિનોદ મોરડિયા પોતાની વિશ્વાસુ ઘોડી રેશમા વિના ક્‍યાંય જતા નથી. દરેક ખાસ પ્રસંગે તેઓ પોતાની ઘોડી પર બેસીને જ જાય છે. રેશમાને સ્‍વસ્‍થ રાખવા માટે વિનોદ મોરડિયા બનતા તમામ પ્રયાસ કરે છે. તેમનું માનવું છે કે, મનુષ્‍યની નજરથી ચૂકી જાય તેવા બધા જ ખતરા રેશમા ઓળખી લે છે. તેમણે કહ્યું, ‘મારી ઘોડી આસપાસ હોય ત્‍યારે મને અનોખી ઉર્જાનો અનુભવ થાય છે. એવું લાગે છે કે જાણે તે મને શક્‍તિ પૂરી પાડે છે.' પહેલીવાર તેઓ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્‍યારે રેશમાને સાથે લઈ ગયા હતા. ત્‍યારપછીથી દરેક ચૂંટણીમાં રેશમા પર બેસીને જ તેઓ ઉમેદવારી પત્ર ભરવા જતા હતા. રેશમા મારવાડી અને કાઠી ઘોડાની સંકરણ જાતિની ઘોડી છે. છેલ્લા કેટલાય વર્ષોથી અમે ઘોડા રાખીએ છીએ અને રેશમા તેના પરિવારની ત્રીજી પેઢી છે જે અમારી સાથે છે,' તેમ મોરડિયાએ જણાવ્‍યું. વિનોદ મોરડિયાનો આખો પરિવાર આ કિંમતી ઘોડીની સંભાળ રાખે છે. તેને નિયમિત કસરત પણ કરાવે છે

 

 

(11:04 am IST)