Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ખેડૂતોને દિવસના સમયે ૧૨ કલાક વીજળી આપવામાં આવશે અને MSPના આધારે ખેડૂતો પાસેથી પાકને ખરીદવામાં આવશે : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ તેના ધર્મપત્ની હિરલબેન ગઢવી અને કાર્યકરો સહિત જામ ખંભાળીયાના માર્કેટિંગ યાર્ડમાં અને ભાણવડની મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો : માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ, બકાલા એજન્ટ અને ખેડૂતો સાથે ડોર ટુ ડોર પ્રચાર

રાજકોટ તા.૨૯ : ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી ઐતિહાસિક સાબિત થવાની છે. 8મી ડિસેમ્બરના રોજ રોમાંચક પરિણામ આવવાના છે. આમ આદમી પાર્ટી છેલ્લા છ મહિનાથી ગુજરાતના દરેક ગામડા, જિલ્લા, શહેરમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. આજ સાંજથી ચૂંટણીના પડઘમ શાંત થઈ જવાના છે તેથી ચૂંટણીના કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર અને ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ તેમના ધર્મપત્ની હિરલબેન ગઢવી સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ઇસુદાન ગઢવીએ જામ ખંભાળીયા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર કરી વેપારીઓ, બકાલા એજન્ટ અને ખેડૂતો સાથે જનસંપર્ક કર્યો. સાથે સાથે ઇસુદાન ગઢવી એ ભાણવડની મુખ્ય બજારોમાં પણ ડોર ટુ ડોર પ્રચાર કરી લોક સંપર્ક કર્યો. આ ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા.

 

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીના ધર્મપત્ની હિરલબેન ગઢવીએ પણ કાર્યકરો સહિત ભાણવડ ગામના મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી લોક સંપર્ક કર્યું. હિરલબેન પોતે ગૃહિણી છે એટલે તે ભાજપ સરકારની કપરી મોંઘવારીમાં ઘર ચલાવવાની સમસ્યાને સારી રીતે સમજે છે. તે જાણે છે કે જ્યારે રોજિંદા જીવનની દરેક વસ્તુના ભાવ આકાશે આંબતા હોય ત્યારે સામાન્ય પરિવારનું જીવન કેટલું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આમ આદમી પાર્ટી પાસે તે બધી જ સમસ્યાનું સૌથી શ્રેષ્ઠ સમાધાન છે. 

 

આમ આદમી પાર્ટીએ દરેક પરિવારને આર્થિક સહાય કરવા માટે તેમને 30,000 સુધીનો ફાયદો થાય એવી ગેરંટીઓ આપી છે. તે ગેરંટીઓને હિરલબેને ઘરે ઘરે જઈને દરેક મહિલાને સમજાવી છે. તેમને કહ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ આપવામાં આવશે. તે સિવાય વીજળી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી બધી જરૂરી સુવિધાઓ પણ મફત આપવામાં આવશે. અને બેરોજગારને રોજગાર તથા જ્યાં સુધી રોજગાર ના મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલજીની આ બધી ગેરંટીઓ દરેક પરિવારને આર્થિક રૂપે ખૂબ જ સહાય કરવાની છે. તેથી હિરલબેને સૌને વિનંતી કરી છે કે ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તનનો ભાગ બનો અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી ગુજરાતના દરેક પરિવારનું જીવન સરળ કરો.

 

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જામ ખંભાળીયા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર કરી વેપારીઓ, બકાલા એજન્ટ અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ઈસુદાન ગઢવીએ તમામની સાથે ચર્ચા કરી અને તેમની સમસ્યાઓ જાણી. તેમણે વેપારીઓ, એજન્ટો અને ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે દરેક વર્ગના લોકોને ભલાઈ માટે સરકાર તાત્કાલિક પગલાં લેશે. સૌથી પહેલા ખેડૂતોના દેવા માફી મુદ્દે પહેલી કેબિનેટમાં જ નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે ખેડૂતોને દિવસના સમયે 12 કલાક વીજળી આપવામાં આવશે અને MSPના આધારે ખેડૂતો પાસેથી પાકને ખરીદવામાં આવશે. જેથી ખેડૂતો આર્થિક રીતે મજબૂત થઈ શકે. વેપારીઓને પણ એ વિશ્વાસ અપાવવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓને ભયમુક્ત વાતાવરણ મળશે અને GST અને VATના રિફંડ ચૂકવવામાં આવશે. સાથે સાથે રેડ રાજમાંથી મુક્તિ આપવામાં આવશે. જનસંપર્ક દરમિયાન દરેક લોકોએ આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું અને લોકોએ જ કહ્યું કે "ગુજરાતમાં આ વખતે પરિવર્તનના નામે આમ આદમી પાર્ટીને જ વોટ આપવામાં આવશે."

(2:56 pm IST)