Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અમરોલીમાં લાઈટ ચાલુ બંધ કરવાની ના પાડતા મૂકબધિર પુત્રએ પિતાને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા

બીજો પુત્ર નોકરી પરથી ઘરે આવીને જોતા તેના પિતા મૃત હાલતમાં પડ્યા હતાઃ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી હત્યારા પુત્રની ધરપકડ કરી

સુરતઃ અમરોલીમાં લાઈટ ચાલુ બંધ કરવાની ના પાડતા મૂકબધિર પુત્રએ  પોતાના પિતાને માથામાં પથ્થર ના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પિતાનું ઘટના સ્‍થળે મોત નિપજયું હતું.

મળતી માહિતી મુજબ સુરત શહેરના અમરોલી સ્થિત વૃંદાવન સોસાયટીમાં ગણેશ સ્વાઇ પોતાના 2 પુત્રો સાથે રહે છે.

તેઓનો એક પુત્ર ગણેશ જે ડાયમંડ ફિક્સિંગનું કામ કરે છે, જ્યારે બીજો પુત્ર શંકરશન મૂકબધિર છે. ગતરોજ ગણેશભાઈ ઘરે આવીને સુતા હતા, તે દરમ્યાન તેઓનો મૂકબધિર પુત્ર શંકરશન ઘરની લાઈટ ચાલુ બંધ કરતો હતો. જેથી પિતાએ પુત્રને ઠપકો આપી ચપ્પુ વડે હાથ પર મારી ઈજા પહોચાડી હતી.

ત્યારબાદ રોષે ભરાયેલા પુત્રએ ત્યાં રહેલો મસાલા પીસવાનો પથ્થર ઉઠાવી પિતાને માથામાં મારી દેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજો પુત્ર નોકરી પરથી ઘરે આવીને જોતા તેના પિતા મૃત હાલતમાં પડ્યા હતા. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે અમરોલી પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:40 pm IST)