Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજપીપળા શહેરમાં આયુસમાન ભારત કાર્ડ કઢાવવામાં લાભાર્થીઓને ધક્કા ખવડાવતા હોવાની બુમ

કર્મચારી અન્ય કામગીરી કરતા હોય આ કામગીરી પરાણે સોંપાઈ હોવાની વાત જો સાચી હોય તો અન્ય કર્મચારી મુકાય એ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર ગરીબ મધ્યમ વર્ગના લોકોને મોટી બિમારીમાં મેડિકલ સારવાર મફત મળી રહે તેવા આશયથી માં અમૃતમ સહિત અનેક સુવિધાઓ અમલમાં મૂકે છે પરંતુ આ સુવિધાઓના લાભ જેતે લાભાર્થીઓ સુધી કેમ પહોંચતા નથી એમાં ક્યાં અને કઇ ક્ષતિ છે તે બાબત પણ સમયાંતરે તપાસવી જરૂરી છે.
હાલમાં માં અમૃતમ કાર્ડ બાદ આયુસમાન ભારત નામની યોજના સરકાર દ્વારા શરૂ કરાઇ છે પરંતુ રાજપીપળા ખાતે નિકળતા આ કાર્ડ બાબતે ઘણી બુમો સંભળાઈ રહી છે જેમાં લાભાર્થીઓ ના જણાવ્યા મુજબ રાજપીપળા સિવિલ માં નિકળતા આ કાર્ડ માટે કર્મચારી લોકો ને ધક્કા ખવડાવે છે અને વારંવાર ઓનલાઈન બંધ છે સહિતની વાત કરી લાભાર્થીઓ ને ધક્કે ચઢાવતા હોય ક્યારેક કોઈ બીમાર દર્દીને ઈમરજન્સીમાં લાભ ન મળતા જીવ ગુમાવશે તો જવાબદાર કોણ.? તેવા પ્રશ્નો રાજપીપળા માં હાલમાં ઉઠ્યા છે. જોકે સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આયુસમાન કાર્ડની કામગીરી કરતા કર્મચારી સિવિલ હોસ્પિટલ ના કર્મચારી હોય તેની પાસે સિવિલ ની અન્ય કામગીરી છે છતાં પરાણે આ કામગીરી સિપાતા આ નોબત આવી હશે,જોકે આ કર્મી ઈમરજન્સી સમયે પોતાની કામગીરી પડતી મૂકી કાર્ડ બાબતે કમગીરી કરે છે તેમ પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, ત્યારે લાગતા વળગતા અધિકારી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી લાભાર્થીઓ ને પડતી તકલીફ દૂર કરે તેવી માંગ ઉઠી છે.
 આ બાબતે નાંદોદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમને જણાવ્યું કે આ કામમાં લાભાર્થીઓ ધક્કા ખાતા હશે તો હું આ બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા કાર્યવાહી કરીશ.

(12:02 am IST)