Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સરકારી તંત્ર દ્વારા કોરોનાના કારણે ભરતી સ્‍થગિત કરાયા બાદ ભરતીની વયમર્યાદામાં એક વર્ષની છુટછાટ મળશેઃ રાજ્‍ય સરકાર દ્વારા જાહેરાત

એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને ઇ.ડબલ્‍યુ.એસ.ના ઉમેદવારોને છુટછાટ નહીં મળે

ગાંધીનગરઃ કોરોનાના કારણે સરકારી નોકરીઓની ભરતી અટવાઇ પડી હતી. પરિક્ષાઓ સ્‍થગિત કરાઇ હતી. જેના કારણે ઘણા નોકરીવાંચ્‍છુ ઉમેદવારો વયમર્યાદા વટાવી ચુક્‍યા છે જેથી સરકાર દ્વારા 1 વર્ષની છુટછાટ આપવામાં આવી છે. અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરની છુટછાટ નહીં મળે.

સરકારી નોકરી મેળવવા માટે દર વર્ષે લાખો-કરોડો યુવાઓ પરીક્ષા આપતા હોય છે. તેમાં પણ GPSC ની પરીક્ષા આપનારો યુવા વર્ગ મોટો છે. ત્યારે GPSC ની સરકારી નોકરી લેવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GPSC અને અન્ય ભરતીઓ માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટ અપાઈ છે. સ્નાતક શૈક્ષણિક લાયકાતની જોગવાઈમાં ઉંમર 35ને બદલે 36 કરવામાં આવી છે. તો સ્નાતક કરતાં ઓછી લાયકાતની ઉંમકમાં 33ના બદલે 34 ની છૂટ આપવામા આવી છે. ત્યારે હવે સરકારી નોકરી મેળવવા માંગતા યુવાઓમાં વયમર્યાદા નહિ નડે.

સરકારી નોકરીમાં વય મર્યાદાની છૂટ 1 સપ્ટેમ્બરથી 21 ઓગસ્ટ 2023 સુધીના પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં અપાઈ છે. જોકે, તેમા કેટલાક નિયમો પણ મૂકવામાં આવ્યા છે. જે મુજબ, SC, ST, OBC, EWS કેટેગરીના ઉમેદવારને ઉંમરની છૂટછાટ નહિ મળે. SC, ST, OBC ઉમેદવારની વય મર્યાદા 45 યથાવત રખાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં સરકારી નોકરીઓની ભરતી અટવાઈ પડી હતી. પરીક્ષાઓ પણ લેવાઈ ન હતી. કોરોનામાં પરીક્ષા નહિ લેવાતા વયમર્યાદા એક વર્ષ વધારવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

(5:40 pm IST)