Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઉધનામાં યુવકની હત્યા બાદ લાશને ખાડીમાં ફેકી દેવાઈ

પોલીસે ૪ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી : ફાયર વિભાગની મદદથી લાશને બહાર કાઢવામાં આવી

સુરત, તા.૨૮ : શહેરના જાણે ગુનાખોરી નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે સામાન્ય બાબતે પણ હત્યાને અંજામ આપતા ગુનેગારો અચકાતા નથી. ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. ઉધનામાં યુવકની હત્યા કર્યા બાદ તેની લાશને ખાડીમાં ફેકી દેવામાં આવી હતી. બીજી તરફ રાત્રીના સમયે પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. આ બનાવમાં પોલીસે ૪ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતના ઉધના દર્શન બાગ પાસે સચિન ઉર્ફે પપીયા રોમિયોગીરી કરતો હતો. દરમિયાન સચિનને ગત મોડી રાત્રે ફટકાથી માર મારી તેની હત્યા કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેની લાશને રીક્ષામાં લઇ જઈ પાંડેસરા પ્રેમનગરની ખાડીમાં નાખી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો. ગંભીર ઘટનાને પગલે ઉધના અને પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગની મદદ લઈને લાશને બહાર કાઢવામાં આવી હતી.

આ ઘટનાથી ત્યાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં ઉધના પોલીસે મોહનસિંગ, કાલુસિંગ, ગુરદિપ, શીબ્બા માલ્યા નામના ઈસમો સામે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, થોડા મહિના પહેલા માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને તેના સાગરિતોએ એક ચીકલીગરની હત્યા કરી હતી. જેનો બદલો લેવા માટે પપ્પુ નામના યુવકની હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. જો કે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

(9:20 pm IST)