Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પ્રેમનો અજીબોગરીબ કિસ્‍સોઃ દાહોદના ફતેપુરાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં 4 સંતાનની માતાને 14 વર્ષના કિશોર સાથે પ્રેમસંબંધ બંધાયોઃ બંને ભાગી ગયા

કિશોરને લઇને મહિલા તેના પિયર રાજસ્‍થાનના સજ્જનગઢ તાલુકાના ગામડામાં લઇ ગઇ

દાહોદ:  કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં આંધળો વ્યક્તિ સાચુ-ખોટું સારૂ ખરાબ દરેક વસ્તુ ભુલી જાય છે. આવાજ પ્રેમનો એક અજીબ મામલો દાહોદના ફતેપુરા તાલુકામાં સામે આવ્યો છે. આ કેસમાં 6 સંતાનોની માતાને 14 વર્ષીય પ્રેમસંબંધ બંધાયો હતો. તમે પણ આ પ્રેમ કહાની સાંભળીને આશ્ચર્ય ચકીત થઈ રહ્યા છે. દાહોદના ફતેપુરાના બે અલગ ગામના પ્રેમી-પ્રેમીકા વિચિત્ર પ્રેમ પ્રકરણે વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રેમપ્રકરણે પરિવાર, સમાજ અને સ્થાનિક લોકોને વિચારતા કરી મૂક્યા છે. જ્યારે સગીર કિશોરના પિતાએ મહિલા પાસેથી સગીરનો કબજો લઇ પોતાના પુત્રને પરત સોંપવામાં આવે તે બાબતે પોલીસમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળે છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના ફતેપુરાના એક નાનકડા ગામડાની આશરે 40 વર્ષીય એક મહિલા કે જેને પોતાના પરિવારમાં 6-6 બાળકો છે, તે પોતાના ગામથી 13 કિલોમીટર દૂર આવેલા એક ગામડામાં રહેતા 14 વર્ષીય સગીર વયના કિશોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કિશોર ચાલું વર્ષે ધોરણ.8માં અભ્યાસ કરે છે. બાળ કિશોર પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાના માતા પિતા સાથે ગાંધીનગર બાજુએ મજૂરી કામ કરતો હતો, જ્યાં સાઈટ પર આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ મહિલા સગીરવયના કિશોરના સંપર્કમાં આવ્યા બાદ તેના પર મોહી ગઈ હતી. તેણે પોતાના પતિ (કિશોર) તરીકે મનોમન સ્વીકારવાના ઈરાદાથી છેલ્લા 15 દિવસથી સુખપર ગામમાંથી સમજાવી પટાવીને લઈને ભાગી ગઈ હતી.

સગીર પુત્ર સુખસરથી મોડા સુધી પાછો નહીં ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો અને તેની શોધખોળ આદરી હતી. પરિવારને કિશોરની શોધખોળ કરતા દસથી બાર દિવસ નીકળી ગયા હતા. ત્યારબાદ બાળકિશોર સાથે પ્રેમાંધ બનેલી છ સંતાનોની માતા ગાંધીનગર બાજુ મજૂરીકામ કરતા હોવાની પરિવારને જાણ થઈ હતી. જેથી સગીર પુત્રના પરિવારજનો તાબડતોડ પહોંચીને બંનેને સમજાવીપટાવી આ સંબંધ સામાજિક અને કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું જણાવી પરત ઘરે લાવવામાં આવ્યા હતા.

આ કિસ્સામાં બાળકિશોર તથા મહિલાને બસ મારફતે સંતરામપુર બસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા. જ્યાં મહિલાએ બાળ કિશોરના માતાપિતાને જણાવ્યું કે તમો મને મૂકવા આવશો તો મારા પિયર વાળા તમારા પાસેથી દંડ વસુલ કરશે. માટે તમો મને મૂકવા આવશો નહીં. હું મારી રીતે જતી રહીશ. તેમ જણાવી વિશ્વાસમાં લીધા બાદ કિશોરના માતાપિતા થોડા આઘાપાછા થતા મહિલાએ ચાલાકી વાપરી સંતરામપુર બસ સ્ટેશનમાંથી ફરીથી બાળ કિશોરને લઈ તેના પિયર રાજસ્થાનના સજ્જનગઢ તાલુકાના એક ગામડામાં તેના પિતાના ઘરે લઇ ભાગી ગઈ હતી. હાલ પંદર દિવસ ઉપરાંતથી આ બાળ કિશોર પ્રેમમાં અંધ મહિલાના પિતાના ઘરે હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ પ્રેમસંબંધમાં પ્રેમાંધ બનેલી મહિલાના પતિ સહિત 6 બાળકો હયાત છે. તેમ છતાં મહિલાના સાસરી પક્ષવાળાઓ બાળ કિશોરના ગામે જઈ આ કેસનો નિકાલ કરી લઈએ તેમ જણાવી રહ્યા છે. જ્યારે મહિલાના પિતા બાળ કિશોરના પિતાને તમો આવી તમારા છોકરાને લઈ જાઓ તેમ ફોનથી જણાવતા હોવાનું બાળ કિશોરના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળે છે.

(4:43 pm IST)