Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અંડરવર્લ્ડના નામે વાપીના બિલ્ડરને કેસ પાછો ખેંચવા નહિતર ગોળી મારવાની ધમકી

અમદાવાદ, તા.૩૦:રાજ્યમાં બિલ્ડરોને ધમકીભર્યા કોલના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતમાં અંડરવર્લ્ડના નામે વાપીના બિલ્ડરને સુરતમાં ધમકી અપાઈ છે. ડોન સુરજ પુજારીના નામે અમેરિકાના નંબરથી ધમકીભર્યો ફોન કર્યો હતો. જેના કારણે કિર્તીકુમાર કુટરમલ જૈને પોતાના ભાગીદારો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં ભાગીદારો વધુ એક પ્રોજેકટમાં ખોટી સહી ન કરે તેની અરજી આપવા પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા હતા. હાલ આ ઘટનાને લઈને સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે વાપી જીઆઈડીસી ખાતે શ્રદ્ધા કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા કિર્તીકુમાર કૂટરમલ જૈન (૫૦) વ્યવસાયે બિલ્ડર છે. વર્ષ ૨૦૧૫માં વેલેન્સિયા પ્રોજેકટમાં ભાગીદાર તરીકે તેઓ જોડાયા હતા. જોકે અન્ય ભાગીદારોએ છેતરપિંડી કરતા તા. ૫.૧૧.૧૮ના રોજ તેમણે ભાગીદારો કુમારેશ કિશોરભાઈ અગરબત્તીવાલા, કિશોર અમૃતલાલ અગરબત્તીવાલા, દેવયાની પ્રકાશચંદ્ર અગરબત્તીવાલા, મુકેશ પુનમચંદ્ર રૂપાવાલા, ચેતન પ્રવિણચંદ્ર રૂપાવાલા અને અમર અરવિંદ રાવળ વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોધાવ્યો હતો. ત્યારબાદ તેમણે ભાગીદારો વિરુદ્ધ મુંબઈમાં પણ બે પોલીસ કેસ નોધાવ્યા હતા.

દરમિયાન તા. ૭.૧૦ના રોજ કીર્તિકુમાર સુરત નાનપુરા ખાતે બહુમાળી ભવનમાં સબ રજીસ્ટ્રાર ઓફિસ ખાતે વેલેન્સિયા પ્રોજેકટમાં ભાગીદાર કુમારેશ અગરબત્તીવાલા પોતાની સહિથી દસ્તાવેજ કરી ન લે તે માટે વાંધા અરજી આપવા નીકળ્યા હતા. બપોરે ૨ વાગે ઉધના દરવાજા, કોટક મહિન્દ્રા બેંક પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે મોબાઈલ પર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.  કોલ કરનારે પોતાની ઓળખ સુરેશ પુજારી તરીકે આપી જૈનને જણાવ્યું હતું કે, વેલેન્સિયા પ્રોજેકટ મે તેરે કો કુછ નહી મિલેગા, અગર તુ કોઈ મગજ મારી કરેગા તો તેરે કો ઠોક દુંગા, મેરે આદમી તેરે  પીછે હૈ, કુમારેશ ઓર પ્રકાશ અગરબત્તી જહાં પે બોલતા હૈ વહા સાઈન કર દે ઓર ચૂપચાપ નીકલજા, ઈ સમે તેરી ભલાઈ હૈ,  તેરે ભાગીદારો કે વિરુદ્ધ જો ભી પોલીસ કેસ કિયા હૈ વો ભી વાપસ લે લે, વરના તુજે ગોલી માર દુંગા, એવી ધમકી આપી હતી. કીર્તિ જૈને ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે ધમકીભર્યા કોલ કરનાર સુરેશ પુજારી સામે ગુનો નોધી તપાસ આદરી છે.

(4:01 pm IST)