Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગાંધીનગર નજીક આવેલ સુઘડ નર્મદા કેનાલમાં પરિવારિક તકરારમાં પુત્રએ ઝંપલાવતા પિતાએ પુત્રને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી

ગાંધીનગર:શહેર નજીક આવેલી સુઘડ નર્મદા કેનાલમાં ગઇકાલે બપોરના સમયે પારિવારીક તકરારમાં પુત્રએ કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેની જાણ પિતાને થતાં પિતાએ પણ પુત્રને બચાવવામાં કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. જેના પગલે ગાંધીનગર ફાયરબ્રિગેડે બંનેની શોધખોળ હાથ ધરી હતી. આજે ભારે શોધખોળાના અંતે પિતાનો મૃતદેહ મળી આવ્યા હતો. જ્યારે પુત્રની શોધખોળ હજુ ચાલું રાખવામાં આવી છે. આ અંગે પરિવારજનોએ હજુ પોલીસમાં કોઇ ફરિયાદ આપી નથી.

આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલાં સુઘડ ગામમાં રહેતાં આધેડના પરિવારમાં પત્નિ અને બે પુત્રોનો સમાવેશ થાય છે. પતિ-પત્નિ વચ્ચે તકરાર ચાલી રહ્યો હોવાથી બંને પુત્રો પિતા સાથે રહેતા જ્યારે માતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રહે છે. ગઇકાલે આધેડ અને તેમના પુત્ર વચ્ચે કોઇ મામલે તકરાર થઇ હતી અને જેના કારણે ઘરેથી રિસાઇને પુત્ર સુઘડ નર્મદા કેનાલે પહોંચીને છલાંગ લગાવી દીધી હતી. જેની જાણ પિતાને થતાં તેઓ પણ તુરંત જ કેનાલ ઉપર પહોંચ્યા હતા અને પુત્રને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેથી કેનાલ ઉપર હાજર અન્ય લોકોએ આ અંગ ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને મોડી સાંજ સુધી પિતા-પુત્રની કેનાલમાં શોધખોળ આધરી હતી તેમનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. દરમિયાનમાં આજે પરિવારજનોએ તરવૈયાને બોલાવીને શોધખોળ કરતાં પિતાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. જો કે આ મામલે અડાલજ પોલીસમાં હજુ સુધી કોઇ નોંધ કરવામાં આવી નથી.

(6:04 pm IST)