Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ખંભાત તાલુકાના નેજા ગામે પુરપાટ ઝડપે જતી કાર ગરનાળાની દીવાલ સાથે ટકરાતા ચાલકનું કરૂણ મોત

આણંદ : ખંભાત તાલુકાના નેજા ગામના વળાંક પાસે પુરપાટ ઝડપે જતી એક કાર ગરનાળાની દિવાલ સાથે ટકરાતા ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક શખ્શને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખંભાતની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદની અમૂલ ડેરીમાં આસીસ્ટન્ટ રીસર્ચ સાયન્ટીસ તરીકે ફરજ બજાવતા ધુ્રવ પ્રવિણકુમાર પંડયા કંપની દ્વારા ફાળવવામાં આવેલ કારના ડ્રાઈવર હિતેશભાઈ રમણભાઈ પટેલ (રહે.રૂદેલ)ની સાથે કાર  લઈ ગતરોજ રાત્રિના સુમારે જીણજ ગામે અશ્વિનભાઈ મકવાણાને ત્યાં ગાય-ભેંસની વિઝીટ કરવા ગયા હતા. જ્યાં વિઝીટ પતાવ્યા બાદ આજે વહેલી પરોઢના સાડા ત્રણ વાગ્યાના સુમારે તેઓ પરત આવવા નીકળ્યા હતા ત્યારે નેજા ગામના વણાંક પાસે આવેલા ગરનાળાની દિવાલ સાથે કાર અથડાતા ડ્રાઈવર હિતેશકુમાર અને ધુ્રવભાઈને ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર અર્થે ખંભાતની જનરલમાં ખસેડાયા હતા. જો કે ગંભીર રીતે ઘવાયેલ ડ્રાઈવર હિતેશભાઈને કરમસદ ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પર હાજર ર્ડાક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)