Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વડોદરા નજીક યુવતી સાથે શારીરિક સુખ માણી લગ્નની લાલચ આપી તરછોડી દેનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:નજીકના એક ગામમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ જોધપુર જતા રહેલા યુવાને લગ્ન માટે ઇન્કાર કરી દેતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

૨૨ વર્ષની યુવતીએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા મકાનમાલિકના મિત્રનો રાજસ્થાનના જોઘપુરમાં રહેતો પુત્ર ભરતસિંઘ નખતસિંઘ રાજપુરોહીત વારંવાર અમારા ઘેર આવતો હતો જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી. ભરતસિંઘે લગ્નનો વાયદો કર્યા બાદ તે અવારનવાર મને બહાર લઇ જતો હતો અને શરીર સંબંધ બાંધતો હતો. છ મહિના સુધી ભરતસિંઘે લગ્નનો વાયદો કરી પત્નીની જેમ રાખ્યા બાદ તે જોઘપુર જતો રહ્યો હતો.

યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે જોઘપુર ગયા  બાદ તેનો સંપર્ક કરી લગ્ન ક્યારે કરીશું તેમ જણાવતા તેણે ઇન્કાર કરી હું તારી સાથે લગ્ન નહી કરું તેમ જણાવ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે બળાત્કારની ફરિયાદના પગલે પોલીસે જોઘપુરના યુવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:10 pm IST)