Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પાંડેસરાના મકાનમાંથી મળેલ દંપતીના મૃતદેહ કેસમાં મોટો ખુલાસો

ખુદ પતિએ જ પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી: પત્નીનું કાસળ કાઢ્યા બાદ પતિએ પણ ગળેફાંસો ખાધો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મકાનમાંથી મૃત હાલતમાં મળી આવેલી પતિ-પત્નીના મૃતદેહના ફોરેન્સિક રિપોર્ટ દરમ્યાન પતિ દ્વારા પત્નીને ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જ્યારે પતિએ જાતે જ ઘરનો દરવાજો અંદરથી લોક કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ જણાવી રહી છે.

જો કે આ કરવા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. જ્યાં વતનથી સુરત આવી રહેલા બંને મૃતકોના સબંધીઓની પૂછપરછ દરમ્યાન પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડો અથવા મતભેદ હતા કે કેમ? તે અંગેની હકીકત બહાર આવી શકે તેમ છે.

 

સુરતના પાંડેસરા ખાતે આવેલ જય અંબે નગરની 3 માળની ઈમારતના એક બંધ મકાનમાંથી બે દિવસ અગાઉ પતિ-પત્નીની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. રંજીત શાહ અને શુશીલા શાહ નામના બંને પતિ-પત્નીની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી હતી.

બે માસ અગાઉ જ બંને પતિ-પત્ની બિહારથી સુરત આવ્યા હતા.પાંડેસરા ખાતે આવેલા જય અંબે નગરના ભાડેના મકાનમાં બંને પતિ-પત્ની રહેતા હતા.જો કે બે દિવસ અગાઉ બંધ રૂમમાંથી અતિ દુર્ગંધ આવતા પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પોહચેલી પોલીસે રૂમનો દરવાજો અંદરથી લોક હોવાના કારણે લોક તોડી બંને પતિ-પત્નીની મૃત અવસ્થામાં લાશો બહાર કાઢી હતી. જ્યાં ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ લાશોને જોઈ પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી.

તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી બંને પતિ-પત્નીના આધાર કાર્ડ મળી આવ્યા હતા. જેના પરથી બંને પતિ-પત્ની ઓળખ મેળવવામાં પોલીસને સરળતા મળી હતી. રહસ્યમય સંજોગોમાં બંને પતિ-પત્નીની લાશો મળી આવતા પોલીસે ફોરેન્સિન્ક પોસ્ટ મોર્ટમ કરાવવા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જ પતિ દ્વારા પત્નીની હત્યા કરી જાતે પણ આપઘાત કર્યો હોવાનું જણાયું હતું.

જો કે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને ફોરેન્સિક રિપોર્ટમાં પત્નીને ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનું હાલ બહાર આવ્યું છે.જ્યારે પતિએ જાતે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું ફોરેન્સિક રિપોર્ટ દરમ્યાન સામે આવ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક રિપોર્ટમાં તો સ્પષ્ટ થઇ ગયું છે કે, સૌ પ્રથમ પતિ દ્વારા સૂતેલી અવસ્થામાં જ પત્નીને ટૂંપો આપી મોતને ઘાટ ઉતારવામાં આવી છે. જ્યારે પતિએ જાતે જ આપઘાત કરી લીધો છે. જો કે મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, પતિ દ્વારા આ પ્રકારનું પગલું શા માટે ભરવામાં આવ્યું ?

આ માટે બંને મૃતક પતિ-પત્નીના બિહાર રહેતા સબંધીઓને આ બાબતની જાણ પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે લોકોની સુરત આવ્યા બાદ લાશનો કબ્જો સોંપી, ત્યારબાદ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે.

(8:37 pm IST)