Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સુરતના મતદારોના મતની અસર સૌરાષ્‍ટ્રના અનેક ગામડાઓ પર પડશેઃ સુરતથી સૌરાષ્‍ટ્રમાં મતદારો લઇ જવા માટે માત્ર 200 બસનું બુકીંગ

2017માં 400 બસોનું બુકીંગ થયેલુઃ આ ચૂંટણીમાં મતદાતાઓ વતન આવવા મતદાન માટે નિરૂત્‍સાહી

સુરતઃ સૌરાષ્‍ટ્રની બેઠકો માટે દર ચૂંટણીમાં મતદાતાઓને બસ દ્વારા વતન લઇ આવતી બસોનું બુકીંગ થાય છે. આ ચૂંટણીમાં માત્ર 200 બસનું બુકીંગ થયુ છે જે ખૂબ જ ઓછુ છે જેની સીધી અસર મતદાન પર થશે.

આવતીકાલે પ્રથમ તબક્કાના મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે. સૌરાષ્ટ્રના મોટાભાગના મતદારો સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેઓ મતદાન માટે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડે છે. એમ કહો કે, સૌરાષ્ટ્રની વોટબેંક પર સુરતનો મોટો ફાળો છે. દર વર્ષે મોટી સંખ્યામાં મતદારોને સુરતથી સૌરાષ્ટ્ર લઈ જવા બસોની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીને લઈ આ વખતે બસો ઓછી બુક થતા મતદાન પર અસર જોવા મળશે. સુરતના મતદારોને લઈ જવા બસોની ઇન્ક્વાયરી ગત વર્ષની તુલનાએ 50% જ થતા તેની અસર સૌરાષ્ટ્રની બેઠકો પર પડશે. સુરતથી સૌરાષ્ટ્રમાં મતદારોને લઇ જવા અત્યાર સુધી માત્ર 200 થી વધુ બસોનું બુકિંગ થયું છે. જ્યારે 2017 ના વર્ષમાં બસ બુકિંગની સંખ્યા 400 થી ઉપર હતી. રાજ્યની એક ડઝન બેઠકો પર તો રત્નકલાકારોની સીધી અસર થશે. 

સુરતમાં વસતા મતદાતાઓને ગામમાં મતદાન કરવા માટે લાવવામાં બસોની વ્યવસ્થા કરવામાં આવે છે. જેને લઈને બસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ આ વખતે બસ બુકિંગમાં નિરસ્તા જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ, આ વખતે સુરતથી 200 થી વધુ બસો અને 1000 જેટલી કારો દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામમાં મતદાન કરવા માટે લઈ જવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના મતદારોના મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ ૫૨ પડશે. કારણ કે, સૌરાષ્ટ્રના ગામડાઓમાં આર્થિક મદદ સુરતના લોકો દ્વારા પુરી પાડવામાં આવે છે. આ તમામ ગામોમાંથી લોકો રોજગારી માટે અથવા ધંધા અર્થે સુરતમાં આવીને વસવાટ કર્યો છે. વડીલો સુરતમાં રહેતા હોય તો તેમનું વતનની મતદાર યાદીમાં નામ હોય છે.

2017 માં 400 બસનુ બુકિંગ થયુ હતું

2022 માં 200 બસોનું બુકિંગ થયું

બસ માટે કોંગ્રેસની ઇન્કવાયરી નથી

ભાજપ અને આપની ઇન્કવાયરી વધુ

                        2017    2022

અમરેલી           40        16

ધારી                22        11

બોટાદ             47        21

ગરીયાધાર       17        51

સાવરકુંડલા      23        52

વલભીપુર        35        50

રાજુલા                         40        20

ખાસ કરીને સુરતમાં વસવાટ કરતાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને અલગ અલગ પાર્ટીઓ દ્વારા સૌરાષ્ટ્રમાં તેમના વતન લઈ જવાય છે, જેથી તેઓ વોટ કરી શકે. મહુવા, ગારિયાધાર, ભાવનગર-ગ્રામીણ, પાલિતાણા, બોટાદ, ગઢડા, અમરેલી, સાવરકુંડલા, લાઠી, બાબરા, ધારી, રાજુલા, જુનાગઢ, તલાળા, સોમનાથ, કોડિનાર, ઉના, વિસાવદર, રાજકોટ, જેતપુર, જસદણ, ધોરાજી, જામખંભાળિયા અને જામજોધપુર સહિતના ગામોના વધતા ઓછા અંશે સુરતમાં વસે છે. સુરતના મતદારોનો સૌરાષ્ટ્રમાં હોલ્ડ હોવાને કારણે નેતાઓ દ્વારા સુરતમાં સભા યોજવામાં આવી હતી. 

(5:30 pm IST)