Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલે ફિલ્‍મી ઢબે આણંદના કિંખલોડ ગામે સભા સંબોધીઃ નરેન્‍દ્રભાઇ મોદીને અવતારી પુરૂષ ગણાવ્‍યા

કોંગ્રેસ અને આપ પર કર્યા આકરા પ્રહારોઃ કેજરીવાલને હિન્‍દુ વિરોધી ગણાવ્‍યા

આણંદઃ ફિલ્‍મ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ આણંદના કિંખલોડ ગામે સભા સંબોધી હતી. સભામાં તેમણે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા.

જિલ્લાનાં વિધાનસભા મત વિસ્તારનાં કિંખલોડ ગામમાં આજે ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલે ભાજપની ચુંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અને કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવતારી પુરૂષ ગણાવ્યા હતા. 

પરેશ રાવલએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આ વિકાસ વાળા શાંતિ અને સમૃદ્ધિથી ભરેલા ગુજરાતના બાપ છે. છોકરો ગમે તેટલો મોટો થઈ જાય પૈસા વાળો થઈ જાય પરંતુ કયારેય બાપનું નામ ભુલવું જોઈએ નહી. પરેશ રાવલએ કહ્યું હતું કે આ દેશનાં બે રાષ્ટ્રપિતા છે, એક ગાંધીજી અને બીજા સરદાર પટેલ, ગાંધીજીએ આઝાદી તો અપાવી, ઘણા લોકોએ આઝાદી અપાવી. પરંતુ જો પટેલ ના હોત તો તમે આ આઝાદીને શું કરતા? મોઢામાં અંગુઠો રાખીને ચુસતા ઉભા રહેતા, શું કરતા તેમ જણાવ્યું હતું.

વર્ષો પૂર્વે ગુજરાતમાં કરફયુ લાગેલો રહેતો હતો. હવે કરફયુ નથી હોતો. વિશ્વભરમાંથી મોટા મોટા ઉદ્યોગો અહીયાં આવી રહ્યા છે. મોદી સાહેબે શાંતી વાળી જગ્યા જાળવી રાખી છે, તે વાડીને ઉજડવી ના જોઈએ. મારા મતે મોદી એક અવતાર છે અને હું ભકિત રસમાં તરબોળ થઈને નથી બોલતો. હું ભણેલો ગણેલો માણસ છું, કોઈ અભણ માણસ નથી. જેથી સમજી વિચારીને બોલું છે. આવા માણસને આપણે સાચવીને રાખવાનું છે.

તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જે 25 થી 30 હજારનાં જુતા પહેરે છે અને યાત્રાઓ કરે છે. તેમને મારે કહેવું છે કે ભાઈ તમે યાત્રામાં ચાલી શકો રાજકારણમાં ના ચાલી શકો, રાજકારણમાં ચાલવા માટે ભેજુ જોઈએ.

કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, તેનાં જેવો જુઠ્ઠો માણસ મેં જોયો નથી. કાંચિડો પણ તમને જોઈને ભાગી જતો હોય છે. તેમણે વર્ષ 2012-13માં પોતાનાં દિકરાઓનાં સોગંદ ખાઈને કહ્યું હતું કે હું રાજકારણમાં નહી આવું... તેમ છતાં રાજકારણમાં આવ્યા, મુખ્યમંત્રી બન્યા બાદ કહે કે મારે આવાસ ના જોઈએ અને આવાસમાં રહેતા થઈ ગયા પછી સરકારી ગાડી ના જોઈએ અને હવે સરકારી ગાડી વાપરતા થઈ ગયા... આવો જુઠ્ઠો માણસ છે.. માત્ર એટલું નહી પ્રચંડ હિંદુ વિરોધી છે. હિંદુ વિરોધમાં તો તેમણે કોંગ્રેસને પાછળ મુકી દીધી છે, ભગવાન રામનું બર્થ સર્ટીફિકેટ માંગનારો માણસ છે. તેમ જણાવ્યું હતું.

(5:32 pm IST)