News of Monday, 31st May 2021
અમદાવાદ,તા.૩૧ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા બનીને ફરતા લોકો ધાર્મિક વૃત્તિ ધરાવતા વૃધ્ધોને આશીર્વાદ આપવાનું કહી અને દાગીનાને ફૂંક મારવાનું કહી છેતરતા હોવાની ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક ઘટના તાજેતરમાં વાસણા વિસ્તારમાં બની હતી. જેમાં વાસણા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ ગણતરીના દિવસોમાં જ મદારી ગેંગ ના ચાર લોકોને ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ હજુ પહેલી વાર જ આ રીતે વૃદ્ધને લૂંટયા હતા અને ઝડપાઇ ગયા છે. બાકી અનેક લોકોને આશીર્વાદ આપવાનું કહી ૨૦૦ રૂ.થી લઈ ત્રણ ચાર હજાર લઈ નીકળી જતા હોવાની કબૂલાત કરી છે.
ગેંગના સભ્યો કેવી રીતે લોકોને છેતરતા તે માટે પોલીસે ડેમો કરાવતા અંધશ્રદ્ધામાં માનતા લોકો આબેહૂબ નાગા બાવાની જાળમાં ફસાઈ જતા હોવાનું સામે આવ્યું હતું. વાસણા ખાતે રહેતા ૬૯ વર્ષના શંકરભાઈ નાગર પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ તેમના હાથમાં એક ગુરુ ગ્રહના નંગ વાળી સોનાની વીંટી પહેરતા હતા.
ગત ૨૧મી મે ના રોજ સવારે તેઓ તેમના ઘરેથી નીકળી નારાયણ નગર રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ ના મંદિરે દર્શન કરીને ઘરે પરત ચાલતા આવતા હતા. તે વખતે લક્ષ્મીનારાયણ મંદિર થી તેમના ઘરની વચ્ચે ના રસ્તામાં એક કારનો ચાલક ગાડી તેમની નજીક માં લાવી ઊભી રાખી હતી.
ડ્રાઇવરની સીટની બાજુની સીટમાં બેઠેલા શખશે તેઓને પૂછ્યું કે કાકા મહાદેવનું મંદિર ક્યાં આવ્યું છે? ગાડીની પાછળની સીટમાં બેઠેલા નાગા બાવા ને ચલમ પીવી છે, અમારે મંદિર જવું છે અમને સરનામું આપો અને પાછળ બેઠેલા નાગાબાવાના દર્શન કરો તમારું કલ્યાણ થઈ જશે. તેવામાં પાછળની સીટ ઉપર બે શખ્સો બેઠા હતા જેમાંથી એક શખ્શે ગાડીનો કાચ ખોલી કાકા નજીક આવો એવું કહીને પાછળની સીટમાં બેઠેલા બીજો શખ્શ કે જેણે ભગવા કપડા પહેર્યા હતા.
તેણે આ વૃદ્ધને આશિર્વાદ આપ્યા અને શંકરભાઈને તેમના હાથમાં એક રુદ્રાક્ષનો મોતી અને સિંદૂર આપી કપાળ પર તિલક કર્યું હતું અને જણાવ્યું કે તમારા હાથમાં પહેરેલી સોનાની વીંટી મને આપો હું તમને ફૂંક મારીને પાછી આપું છું.
બાદમાં આ શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે વાસણા પોલીસસ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ધીરસિંહ, જીતેન્દ્રસિંહ અને જયવીરસિંહ એ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આ ગેંગ ઝડપી પાડવા પ્રયાસ કરતા નકલી નાગા બાવા બની ફરતા સાગર નાથ મદારી, સાહેબનાથ મદારી, રાજુનાથ ભાટી અને વિજય નાથ ગોસાઈની ધરપકડ કરી છે.
આ તમામ લોકો દહેગામ અને મહેમદાવાદના રહેવાસી છે. આરોપીઓ કેસરી ખેસ નાખી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગાડીમાં નીકળતા હતા.
મંદિરની આસપાસ કોઈ દાગીના પહેરીને મંદિર આવતા ધાર્મિક વૃત્તિ વાળા વ્યક્તિને રોકી મંદિરનું સરનામું પૂછતાં અને બાદમાં ગાડીમાં પાછળ નાગા બાવા બેઠા છે દર્શન કરી આશીર્વાદ લો કહીને નાગા બાવા બનીને બેઠેલો શખસ ધબ્બો મારી આશીર્વાદ આપતો હતો.
બાદમાં દાગીના કઢાવી ફૂંક મારી પરત આપવાનું કહી દાગીના પડાવી ગેંગના આ સભ્યો ફરાર થઈ જતા હોવાનું વાસણા પીઆઇ એ એલ મહેતાએ જણાવ્યું છે. પોલીસ એ વાત સમજવા માંગતી હતી કે આરોપીઓ કોઈ વશીકરણ કરે છે કે અન્ય કોઈ રીતથી લોકોને લૂંટે છે તે માટે ડેમો કરાવ્યો હતો. જેમાં પોલીસે તેઓને ગાડી લઈને અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા.
આબેહૂબ નાગા બાવા બનીને લોકોને છેતરતા અને લોકો ધાર્મિક માણસ હોવાનું માની બાવાઓને ૨૦૦થી લઈ બે ત્રણ ચાર હજાર રૂપિયા પણ આપી દેતા હતા.
આવા નકલી બાવાઓની અંધશ્રદ્ધા માં આવી જતા લોકો જાણ્યા સમજ્યા વગર જ રૂપિયા કે દાગીના આપી દેતા હોવાનું સામે આવ્યું હતું. લોકો આસાનીથી પોતાની પાસેની મત્તા આપી દેતા ટોળકીને વધુ ગુના આચરવાનો વિચાર આવ્યો પણ તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગઈ. ત્યારે લોકોએ આવા અજાણ્યા માણસોથી દુરી રાખવી જરૂરી બન્યું છે.