Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વડનગરમાં 1 હજાર વર્ષ પહેલા હચમચાવી મુકનાર 6.5ની તિવ્રતાના ભૂકંપના પુરાવા મળ્‍યાઃ અમરથોળ નજીક 14 મીટર ઉંડેથી ભૂકંપના અવશેષો મળ્‍યા

ભૂકંપ બાદ વડનગરના લોકોએ ઘર બનાવવાની પદ્ધતિ બદલી નાખી

મહેસાણા: ગુજરાતની ભૂકંપ શબ્દ બોલીએ એટલે કચ્છના ભયાનક ભૂકંપની યાદ તાજી થઈ જાય. પરંતુ ગુજરાતમાં કચ્છ કરતા પણ વધુ ભયાનક ભૂકંપના પુરાવા મળ્યા છે. વડનગરને 1000 વર્ષ પહેલાં હચમચાવી મૂકનારા 6.5 ની તીવ્રતાના ભયાનક ભૂકંપના પુરાવા મળ્યા છે. આ ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે, ભૂકંપ બાદ વડનગરના લોકોએ ઘર બનાવવાની પદ્ધતિ બદલી નાંખી હતી. પુરાતત્ત્વ વિભાગની ટીમને અમરથોળ નજીક 14 મીટર ઊંડે ભૂકંપના અવશેષો મળ્યા છે.

કચ્છમાં 2001 ના વર્ષે ભૂકંપે જે તબાહી મચાવી હતી, તેના કરતા પણ ઘાતક ભૂકંપ વડનગરમાં આવ્યો હતો. 1000 વર્ષ પહેલાં 6થી 6.5ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ વડનગરમાં આવ્યો હતો. પુરાતત્ત્વ વિભાગને અમરથોળ નજીક ખોદકામ વખતે જમીનથી 14 મીટર નીચે અનેક તિરાડો મળી આવી છે, જે બતાવે છે કે વડનગરમાં 10મી સદીમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલ ટીમે પ્રાથમિક સર્વેમાં આ અનુમાન લગાવ્યુ છે. વિજ્ઞાનીઓની એક ટીમ દ્વારા આ દિશામાં વધુ ઊંડું સંશોધન શરૂ કરાયું છે. જેમાં તેમને અનેક રસપ્રદ પુરાવા હાથ લાગ્યા છે.

પુરાતત્ત્વ વિભાગે ગાંધીનગરની ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની મદદથી આ સંશોધન કર્યુ છે. ટીમને તપાસમાં જાણવા મળ્યુ કે, વડનગરમા આવેલા ભૂકંપને કારણે જમીન પણ ફાટી ગઈ હતી, જે કદાચ ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના કહી શકાય. ઈસ. પાંચમીથી દસમી સદી અથવા ગુજરાતના ઈતિહાસનો ક્ષત્રપ પછીના સમય દરમિયાન ભૂકંપ આવ્યો હોવાનુ અનુમાન છે. પુરાતત્વ વિભાગની ટીમને ખોદકામ દરમિયાન અનેક તિરાડો દેખાી છે. જે સદીના સૌથી મોટા ભૂકંપ તરફ ઈશારો કરો છે. આ ભૂકંપ 6 થી 6.5 ની તીવ્રતાનો હશે. જે શક્તિશાળી ભૂકંપ પણ કહી શકાય.

ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચના ડો.સિદ્ધાર્થ પ્રિઝોમવાળાએ આ વિશે માહિતી આપી કે, આ વિષયમાં અમારું સંશોધન આગળ ચાલી રહ્યુ છે. પરંતુ અમે જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ અમને મહત્વની માહિતી મળી રહી છે. એક તારણ એ પણ નીકળ્યું છે કે, ભૂતકાળમાં આ વિસ્તાર પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રહ્યું હશે. પરંતુ ઉત્તર ગુજરાતમાં ક્યારેય શક્તિશાળી ભૂકંપ આવ્યા નથી, ત્યારે અહી કેવી રીતે આવો શક્તિશાળી ભૂકંપ આવ્યો હશે તે તપાસનો વિષય છે. આ ભૂકંપ બાદ લોકોએ ઘર બનાવવાની પદ્ધતિ બદલી નાંખી હતી. ભૂકંપ પછી અહીંના લોકોએ ઘરની દીવાલ વચ્ચે એક જગ્યાએ ઈંટોનું લેયર હટાવીને લાકડા ગોઠવી દીધા હતા, જેના કારણે ભૂકંપ આવે ત્યારે તેની ધ્રુજારી આગળ જતા અટકી જાય અને ઘર પણ ધરાશાયી ના થઈ જાય. જેના અવશેષો અમને હાથ લાગ્યા છે.

(5:12 pm IST)