'બાપ'ને છોડીને 'આપ'માં થોડું જવાય ? પરેશ ધાનાણી
ગુજરાત બે ધરી પર જોડાયેલું રાજ્ય : ગાંધી અને સરદારની ધરી : સત્તાના ધ્રુવીકરણ માટે ચૂંટણી ટાણે દર વખતે સત્તાધારી પક્ષ દ્વારા છળકપટના પ્રયાસો : વિધાનસભા વિરોધ પક્ષના નેતાના ભાજપ સરકાર ઉપર પ્રહારો
રાજકોટ તા. ૧ : કોંગ્રેસના ધુરંધર અગ્રણી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યાંના મેસેજે ભારે ચર્ચા જગાવી છે ત્યારે આ અંગે પરેશભાઇ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, 'બાપ'ને છોડીને 'આપ'માં થોડું જવાય ?
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે ચૂંટણી ટાણે સતાધારી પક્ષ દ્વારા મતોના ધ્રુવીકરણ માટે જુદા જુદા છળકપટ કરવામાં આવે છે. ૨૦૦૭માં એમ.જે.પી. લાવ્યા હતા, ૨૦૧૨માં જી.પી.પી. લાવ્યા હતા અને ૨૦૧૭માં આંદોલન થયા હતા. સતાધારી પક્ષ દ્વારા ભોળા મતદારોને લાગણીમાં લાવીને છળકપટ કરવામાં આવે છે.
ગુજરાત બે ધરી ઉપર જોડાયેલું રાજય છે એક ગાંધી અને બીજા સરદારની ધરી. આવનારા દિવસોમાં લોકો સાચા વિકલ્પ ને પસંદ કરશે અને છળકપટ કરનારાને તેનું સ્થાન બતાવી દેશે. તેમ અંતમાં પરેશભાઇ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું.