કાંકરેજના મોટાજામપુર ગામે ગોબર ગેસ પ્લાન્ટમાં ગેસ ગળતર: સફાઈ કરવા ગયેલ બે લોકોના મોત
ખેતરમાં આવેલ પ્લાન્ટની સફાઈ કરવા ગયેલ ખેતર માલિકના પુત્ર અને ભાગીદારના મોત : અન્ય ચાર લોકો અસરગ્રસ્ત
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ ખાતે આવેલા મોટા જામપુર ખાતે ગોબરગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ ની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે જયારે અન્ય 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા મોટા જામપુર ગામે ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ આવેલો હતો. જેની સાફસફાઈ માટે ખેતર માલિકનો પુત્ર આનંદ ચૌધરી અને તેનો ભાગીદાર વારાફરથી અંદર ઉતર્યા હતા. અને બંનેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. કલાકો સુધી આ બંને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને જોવા માટે કૂવામા ઉતર્યા હતા. જેથી ગેસ ગળતરના કારણે અન્ય 4 લોકો પણ અસરગ્રસ્ત થયા હતા.જેમને સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.